ભારે વરસાદની સ્થિતિમાં મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ કોટડાસાંગાણી અને ગોંડલ તાલુકાના ગામોના અસરગ્રસ્ત લોકોની સ્થિતિનો ક્યાસ મેળવ્યો
તા.૨૪/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
કોટાસાંગાણી કરમાળ અને પીપળીયા ગામેથી ૨૫ લોકોને અને ગોંડલના બિલડી અને કમઢીયા ગામના ૨૪ વ્યક્તિને રેસ્કયુ કરાયા
મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી અને ગોંડલ તાલુકાના ગામોના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
કોટડાસાંગાણી તાલુકાના કરમાળ ડેમના દરવાજા વધુ વરસાદને કારણે ખોલાતાં ઈશ્વરીયા ગામની નદી બે કાંઠે વહેવા લાગી હતી. જેના લીધે નદી કાઠાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની સરાહનીય કામગીરી તંત્ર તેમજ એન.ડી,આર.એફની ટીમ દ્વારા કરાઈ હતી. આ સાથે મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ અસરગ્રસ્ત વિસ્તારમાં ઉપસ્થિત રહીને વહીવટી તંત્ર તેમજ એન.ડી,આર.એફની ટીમ પાસેથી પરિસ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. અને ગ્રામજનો સાથે વાતચીત કરીને તેમને જરૂરી તમામ મદદની ખાત્રી આપી હતી, અને સાંત્વના પાઠવી હતી. કોટડાસાંગાણીના કરમાળ અને પીપળીયા ગામેથી ૨૫ લોકોને અને ગોંડલના બિલડી અને કમઢીયા ગામેથી ૨૪ મળી કુલ ૪૯ લોકોનો રાહત બચાવ કરાયા હતા.
આ ભારે વરસાદની સ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં જસદણ પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલ, ગોંડલ, કોટડાસાંગાણી અને જસદણ તાલુકાઓના મામલતદારશ્રીઓ, ગામના સરપંચશ્રીઓ અને અગ્રણીઓ તમામ પ્રકારની સહાય માટે ઉપસ્થિત રહ્યા હતા.