BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
અંકલેશ્વરમાં વેરા ચોરોને ઝટકો:10 વર્ષથી વેરો ન ભર્યો હોય તેવી 17 મિલકત સીલ, પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ઓથોરીટીએ વેરા વસૂલાત ઝુંબેશને વધુ તીવ્ર બનાવી છે. તંત્રએ છેલ્લા 10 વર્ષથી વેરો ન ભરનાર 17 દુકાન અને મકાનને સીલ કર્યા છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાક વિસ્તારમાં આવેલી આ મિલકતોના માલિકોએ લાખો રૂપિયાનો વેરો ચૂકવવાનો બાકી હતો. તંત્રએ વારંવાર નોટિસ આપવા છતાં મિલકત માલિકોએ વેરો ભરવામાં ટાળટૂળ કરી હતી.
આજે સવારે નોટીફાઈડ એરિયા ઓથોરીટીની ટીમો જીઆઇડીસીના રહેણાક વિસ્તારમાં પહોંચી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તંત્રના આ પગલાથી વેરો ન ભરનારા અન્ય મિલકતધારકોમાં ફફડાટ ફેલાયો છે. નોટીફાઈડ એરિયા ઓથોરીટીએ સ્પષ્ટ કર્યું છે કે, વેરો ન ભરનારા સામે આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે.