GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ” રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા દિવસ અન્વયે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાશે

તા.૨૪/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આરોગ્ય કેન્દ્રો દ્વારા મેલેરિયા સર્વેલન્‍સ, દવાનો છંટકાવ કરાશે : હોર્ડિંગ, બેનર, પોસ્ટર્સ પ્રદર્શિત કરી જાગૃતિ સંદેશ અપાશે

આલેખન: રિધ્ધિ ત્રિવેદી

Rajkot: દુનિયાભરમાં તા.૨૫ એપ્રિલ “વિશ્વ મેલેરિયા દિવસ” તરીકે ઉજવાઈ છે. મેલેરિયા એ વિશ્વની સૌથી ગંભીર બીમારીઓમાંની એક બિમારી છે. મેલેરિયા એ મચ્છર દ્વારા ફેલાતો ખતરનાક વાયરસ છે. આ દિવસે લોકોએ આ રોગને કેવી રીતે દૂર કરવો, કેવી રીતે અટકાવવો અને નિયંત્રણમાં રાખવું તે અંગે લોકોમાં જન જાગૃતિ લાવવાના પ્રયત્‍નો હાથ ધરવામાં આવશે. આ વર્ષે “Malaria Ends With Us: Reinvest, Reimagine, Reignite” થીમ અન્વયે ઉજવણી કરાશે.

વિશ્વ મેલેરીયા દિવસ રપ એપ્રિલ ર૦રપના રોજ રાજકોટ જિલ્‍લા પંચાયત આરોગ્‍ય શાખા હેઠળના તમામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો, અર્બન આરોગ્‍ય કેન્‍દ્રો, હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરો, આયુષ્માન આરોગ્‍ય મંદિર અને તેના સેજાના ગામોના ઘરે ઘરે મેલેરીયા સર્વેલન્‍સ કામગીરી કરાશે. જે અન્વયે તાવના દર્દીઓના સ્‍થળ પર જ લોહીનાં નમૂના લઇ પ્રાથમિક સારવાર આપવામાં આવશે. તેમજ ગામોમાં નાના ખાડાં અને ખાબોચીયા ભરેલા હોય તેવા મચ્‍છર ઉત્પતિ સ્‍થાનોમાં દવાના છંટકાવની કામગીરી કરવામાં આવશે.

વિવિધ ગામોમાં લોકોના ઘરની મુલાકાત લઇને વાપરવાના પાણીના ટાંકાઓને હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવા અને દૈનિક વપરાશનાં પાણીમાં મચ્‍છર ઉત્પન્ન ન થાય તેના માટે તે પાણીમાં એબેટની દવા નાખવાની કામગીરી કરવામાં આવશે. ઉપરાંત, મોટા ટાંકાઓ, નદીઓમાં મચ્‍છરની ઉત્પતિના સ્‍થાનોમાં પોરાભક્ષક ગપ્‍પી માછલીઓ મુકવામાં આવશે.

મેલેરિયા શિક્ષણ અને જાગરૂકતાને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ તકનીકો પર માહિતીનો પ્રસાર કરવા જાહેર સ્‍થળોએ હોર્ડિંગ્સ, બેનર, પોસ્‍ટર પ્રદર્શ‍િત કરવામાં આવશે. સ્‍થાનિક ટી.વી. ચેનલોમાં જાહેરાત, પત્રિકા વિતરણ, જૂથ ચર્ચા, ગ્રુપ મિટીંગ કરવામાં આવશે. સરકારશ્રી દ્વારા મેલેરિયા સામે નવા વેક્ટર નિયંત્રણ અભિગમો, ડાયગ્નોસ્ટિક્સ, મેલેરિયા વિરોધી દવાઓ અને અન્ય સાધનો પુરા પાડવામાં આવી રહ્યા છે.

મેલેરિયા એ અટકાવી શકાય અને સારવાર કરી શકાય તેવી બીમારી છે. જે લોકોના સ્વાસ્થ્ય અને આજીવિકા પર સતત અસર કરે છે. મેલેરિયા પ્રોટોઝોઆ પરજીવી દ્વારા ફેલાય છે. આ પરોપજીવી મેલેરિયા વેક્ટર તરીકે ઓળખાતા માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી માનવ શરીરની રક્તવાહિનીઓ સુધી ફેલાય છે. મેલેરિયાના લક્ષણો સામાન્ય રીતે માદા એનોફિલીસ મચ્છરના કરડવાના ૧૦-૧૫ દિવસ પછી દેખાય છે.

ચક્કર આવવા, શ્વાસ ફૂલાવો, દ્રુતનાડ઼ી એ મેલેરિયાના લક્ષણ, આ સિવાય અવિશિષ્ટ લક્ષણ જેમ કે તાવ, ઉબકા, અને શરદીનાં લક્ષણો પણ જોવા મળે છે. ગંભીર મામલામાં દર્દી મૂર્ચ્છા પામે છે અને મૃત્યુની પણ સંભાવના થઈ શકે છે.

મલેરિયાના ફેલાવાને રોકવા માટે ઘણા ઉપાય કરી શકાય છે. મચ્છરદાની મચ્છરના ડંખથી બચાવે છે, તો કીટનાશક દવાના છંટકાવ તથા સ્થિર જળ(જેના પર મચ્છર ઈંડા દે છે)નાં નિકાલથી મચ્છરોનું નિયંત્રણ કરી શકાય છે. આમ, સ્વચ્છતા તથા સાવચેતી સાથે મચ્છરજન્ય રોગોને અટકાવી શકાય છે.

Back to top button
error: Content is protected !!