તા.૨૮/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના અનુસંધાને આગામી ૭ મેના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી તથા અધિક જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મુછારના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સાથે સંકળાયેલ સ્ટાફને તાલીમ આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વિરાણી સ્કુલ ખાતે ૬૯ રાજકોટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારનાં લગભગ ૩૫૦ જેટલા પ્રીસાઈડિંગ ઓફિસરોને ઇવીએમ અને વીવીપેટ તેમજ તેમની ચૂંટણી ફરજ સંદર્ભે તાલીમ આપવામાં આવી હતી.
તાલીમમાં પ્રિસાઈડીંગ ઓફિસરોને મતદાનના દિવસે બજવવાની થતી ફરજ અને આ કામગીરી માટે રાખવાની તકેદારી અંગે રાજકોટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારનાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી નિશા ચૌધરી દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, મતદાનના આગલા દિવસે કરવાની થતી પૂર્વતૈયારી અને પ્રક્રિયાઓ વિષે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તાલીમાર્થીઓને ઈ.વી.એમ. મશીનના નિદર્શન સાથે પ્રેક્ટીકલ તાલીમ પણ આપવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ પણ તાલીમ સ્થળની મુલાકાત લીધી હતી, તેમ મામલતદારશ્રી એમ.ડી. શુકલ દ્વારા જણાવવામાં આવ્યું છે.