Rajkot: રાજકોટ શહેરમાં હથિયારબંધી
તા.૨૫/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં ધાર્મિક શોભાયાત્રા, વિવિધ તહેવારોની ઉજવણી તેમજ વિવિધ રાજકીય પક્ષો અને સંગઠનો દ્વારા રેલી, ધરણા જેવા કાર્યક્રમો યોજાતા હોય છે. જેને ધ્યાને લઈને કાયદો વ્યવસ્થા, જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે અને અનિચ્છનીય બનાવો ન બને, તે માટે શહેર પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
જે મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળના વિસ્તારમાં શસ્ત્રો, તલવાર, ભાલા, બંદુક, છરી, ચપ્પા સહિત શારીરિક ઈજા પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી ચીજો જાહેરમાં સાથે રાખીને ફરવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. પરવાનાવાળા હથિયારો લઈ જાહેર સ્થળોએ હવામાં ફાયર કરવા, સ્ફોટક પદાર્થ લઈ જવા, પથ્થરો અને શસ્ત્રો ફેંકવાના સાધનો એકઠા કરવા તથા સરઘસમાં પેટાવેલી મશાલો લઈ જવા તેમજ વ્યક્તિના પુતળા બાળવા, લટકાવવા, ફાંસી આપવા, લાયસન્સવાળા હથિયારો ફરજ સિવાયના સમયે જાહેર સ્થળોએ લઈ જવા, જાહેરમાં ત્રાસ થાય એ રીતે બુમ પાડવા, ગીતો ગાવા તથા વાદ્ય વગાડવાની મનાઈ કરવામાં આવી છે. ઉપરાંત, સુરૂચિનો ભંગ થતો હોય અથવા રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવા, નકલ કરવા તથા ચિહ્નો, નિશાનીઓ તૈયાર કરવા, દેખાડવા અને ફેલાવો કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે સરકારી કર્મચારી કે જેને ઉચ્ચ અધિકારીએ કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય, વૃદ્ધો તથા અશક્તો કે જેઓને લાકડીના ટેકે ચાલવાનું હોય તેમજ સક્ષમ સત્તાધિકારી તરફથી જેને પરવાનગી આપવામાં આવેલી હોય તેવી વ્યકિતઓને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ જાહેરનામું તા. ૦૧/૦૩/૨૦૨૫થી ૩૦/૦૪/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.