Rajkot: જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી દ્વારા એમ.સી.એમ.સી. કંટ્રોલ રૂમની કામગીરીની સમીક્ષા
તા.૨૬/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ઉત્સાહપૂર્ણ રીતે ચૂંટણી ફરજ બજાવતા દિવ્યાંગ કર્મચારીઓને કલેકટરશ્રીએ બિરદાવ્યા
Rajkot: રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીએ આજે કલેકટર કચેરી ખાતે કાર્યરત મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી (એમ.સી.એમ.સી.)ના કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી. તેમણે સમાચારોના નિરીક્ષણ કામગીરીની સમીક્ષા કરી હતી. આ સાથે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે, આચારસંહિતાને લગતી બાબતો પર ખાસ વોચ રાખવા સૂચના આપી, કામગીરીમાં શું સાવધાની રાખવી તેનું માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી સાથે નિવાસી અધિક કલેક્ટર શ્રી ચેતન ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. એમ.સી.એમ.સી.ના નોડલ અધિકારી સુશ્રી સોનલ જોશીપુરાએ કંટ્રોલરૂમની કામગીરી તેમજ સંલગ્ન બાબતો અંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને માહિતી આપી હતી. આ તકે સહાયક માહિતી નિયામક સુશ્રી પ્રિયંકા પરમાર પણ સાથે રહ્યા હતા.
નિવાસી અધિક કલેકટર શ્રી ચેતન ગાંધીએ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૪થી દિવ્યાંગ કર્મચારીઓને તેમની સ્થિતિને અનુરૂપ ન્યૂઝ મોનિટરિંગની કામગીરી સોંપવામાં આવે છે. લોકશાહીના અવસર એવી ચૂંટણીમાં ફરજ સોંપવા દિવ્યાંગ કર્મચારીઓએ કરેલી રજૂઆત અને તેઓએ દર્શાવેલા ઉત્સાહને પગલે તેમને આ ફરજ સોંપવાનું શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, જિલ્લા કલેકટર કચેરી ખાતે કાર્યરત એમસીએમસીના કંટ્રોલરૂમમાં ૫૦થી વધુ દિવ્યાંગ કર્મચારીઓ ત્રણ શિફ્ટમાં ૨૪ કલાક ફરજ બજાવે છે.