Rajkot: ખેડૂત મિત્રો, ચોમાસુ ઋતુમાં બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદીમાં આટલી કાળજી રાખો
તા.૨૮/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અધિકૃત લાઇસન્સ ધરાવતા હોય તેની પાસેથી જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવી
Rajkot: રાજકોટ જીલ્લાના તમામ ખેડૂતોએ ચોમાસુ ઋતુ માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદીમાં કાળજી રાખવાના જરૂરી સૂચનો નાયબ ખેતી નિયામકશ્રી વિસ્તરણ દ્વારા જણાવ્યાં છે.
જે મુજબ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો. જેથી, છેતરપીંડીથી બચી શકાય.
બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ, લોટ નંબર વિગેરે વિગત દર્શાવતું બીલ સહીં સાથે અવશ્ય લેવું. કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા ઇનપુટોની ખરીદી કરવી નહી. હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબનાં જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો કાર્યક્ષમ ઉપયોગ કરવો. પાકને નિંદામણ મુક્ત રાખવો જેથી નિંદામણને કારણે પાક પર થતી માઠી અસર નિવારી શકાય. અન અધિકૃત અથવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતુ હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ)ને તુરંત જાણ કરવા નાયબ ખેતી નિયામક શ્રી વિસ્તરણ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.