ગુરુની પદવીને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો, શિક્ષકે સગીરા પર કર્યો બળાત્કાર
એક શિક્ષકનું કામ શિષ્યોને જ્ઞાન આપવાનું હોય છે, પણ ગુરુની પદવીને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદ દાણીલીમડા વિસ્તારમાં રહેતા અને ઘરે જ ટ્યુશન ક્લાસ ચલાવતા એક શિક્ષકે તેના ટયુશન ક્લાસમાં આવતી સગીર વિદ્યાર્થિનીને પોતાના હવસનો શિકાર બનાવી છે. સાથે ધાક ધમકીઓ આપીને વાંરવાર તેના પર બળાત્કાર ગુજારતો હતો. પરિવારની ફરિયાદને આધારે પોલીસે નરાધમ લંપટ શિક્ષકની ધરપકડ કરી છે.
દાણીલીમડા ચાર રસ્તા પાસે રહેતો સુનીલ પરમાર તેના જ ઘરમાં ટ્યુશન ક્લાસિસ ચલાવતો હતો. સુનીલ પરમારના ટયુશનના આવતી એક સગીરવયની વિદ્યાર્થીની પર સુનિલે બળાત્કાર ગુજાર્યો હતો. જૂન 2022થી એપ્રિલ 2023 સુધી સગીરા સુનીલ પરમારના ટયુશન ક્લાસમાં જતી હતી. તે દરમ્યાન સુનીલ આ સગીરાને ટયુશનના સમય કરતાં વધુ સમય ઘરે રોકી રાખતો હતો. જે બાદ સગીરાને ધાક ધમકીઓ આપી તેના પર અનેક વખત બળાત્કાર પણ ગુજાર્યો હતો. જોકે સગીરાએ સુનીલના ટ્યુશન ક્લાસ છોડાવી લીધા બાદ પણ સુનીલ તેનો પીછો મૂકતો નો હતો અને સગીરાને લવ લેટર લખતો હતો.
આ ઉપરાંત સગીરા જ્યારે ઘરેથી સ્કૂલે જાય ત્યારે પણ તેનો પીછો કરી તેને હેરાન કરતો હતો. એક દિવસ સુનીલ જ્યારે સગીરાનો પીછો કરી સ્કૂલ સુધી પહોચ્યો હતો ત્યારે ત્યાં અન્ય લોકોએ સુનિલને પકડ્યો હતો અને પ્રિન્સિપાલને જાણ કરી હતી. પ્રિન્સિપાલે સગીરાના માતા પિતાને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. એ પછીથી સગીરાનાં પરિવારે દાણીલીમડા પોલીસે મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે સુનીલ પરમારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.