વિશ્વ મજદૂર દિવસે ભરૂચમાં શ્રમિક કલ્યાણ યોજનાઓની સમીક્ષા: 52,800 નોંધાયેલા શ્રમિકો માટે 18 યોજનાઓ કાર્યરત, આરોગ્યથી શિક્ષણ સુધીની સુવિધાઓ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં વિશ્વ મજદૂર દિવસે શ્રમિક કલ્યાણ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વિકાસનું મહત્વનું કેન્દ્ર બની ગયો છે. અહીં દેશભરના હજારો શ્રમિકો પરિવાર સાથે વસવાટ કરે છે. જિલ્લા નિરીક્ષક પિનાકીન પટેલના જણાવ્યા મુજબ, જિલ્લામાં 52,800 નોંધાયેલા શ્રમિકો કાર્યરત છે. ગુજરાત સરકાર દ્વારા 18 વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓમાં ધન્વંતરી આરોગ્ય યોજના અને પ્રસુતિ સહાય યોજના મુખ્ય છે. મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના અને શિક્ષણ સહાય યોજના હેઠળ શ્રમિકોના બાળકોને લાભ મળે છે. આકસ્મિક મૃત્યુ સહાય અને અંત્યેષ્ટિ સહાય યોજના પણ ઉપલબ્ધ છે. સ્વામી અન્નપૂર્ણા યોજના હેઠળ ખોરાકની સુવિધા આપવામાં આવે છે. વ્યવસાયિક રોગોમાં સહાય યોજના અને ગો ગ્રીન શ્રમિક યોજના પણ અમલમાં છે. દિવ્યાંગ શ્રમિકોને ઇલેક્ટ્રિક ત્રિચક્રી વાહન આપવામાં આવે છે. શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના અને હાઉસિંગ સબસીડી દ્વારા આવાસની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આજના દિવસે જિલ્લાના વિવિધ ઉદ્યોગ એકમોમાં શ્રમિક સન્માન સમારોહ યોજાયા છે. આરોગ્ય કેમ્પ અને માહિતી મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્થળાંતરિત શ્રમિકોના બાળકો માટે હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે.