સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામ ખાતે નિર્મિત ટ્રોપિક ઑફ કેન્સર સાયન્સ પાર્ક પર્યટકોમાં જગાવી રહ્યો છે આકર્ષણ, 2 મહિનામાં 3500થી વધુ મુલાકાતીઓ



સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામ ખાતે નિર્મિત ટ્રોપિક ઑફ કેન્સર સાયન્સ પાર્ક પર્યટકોમાં જગાવી રહ્યો છે આકર્ષણ, 2 મહિનામાં 3500થી વધુ મુલાકાતીઓ
*
5,930 ચોરસ મીટર વિસ્તારમાં સ્થાપિત આ પાર્ક ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક અને ખગોળીય મહત્વ વિશે માહિતી આપે છે
*
એક સેલ્ફ-એક્સપ્લેનેટરી પાર્ક જ્યાં એસ્ટ્રોનોમિકલ સ્ટ્રક્ચર્સ અને મુલાકાતીઓ માટેની સુવિધા ઉપલબ્ધ, ઉનાળુ વેકેશનને બનાવશે રસપ્રદ
*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બાળકોમાં આધુનિક વિજ્ઞાનની ક્ષમતાઓ અંગે સમજણ વિકસિત કરવા પર મૂકે છે ભાર
*
ગાંધીનગર, 16 મે, 2026: ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત કરવા તેમજ ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક મહત્વ વિશે માહિતી આપવાના ઉદ્દેશથી રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળની સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા સાબરકાંઠા જિલ્લામાં ટ્રોપિક ઑફ કેન્સર સાયન્સ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગત 11 માર્ચ, 2026ના રોજ સાબરકાંઠા જિલ્લાના સલાલ ગામ ખાતે આ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે રાજ્યમાં વિજ્ઞાન વિષયના શિક્ષણ અને જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિક વલણોને પ્રોત્સાહન આપવા પર, તેમજ બાળકોમાં આધુનિક વિજ્ઞાનની ક્ષમતાઓ અંગેની સમજણ વિકસિત થાય તેના પર હંમેશાં ભાર મૂક્યો છે.
આ સાયન્સ પાર્ક મુલાકાતીઓ માટે વિજ્ઞાન પર્યટનના કેન્દ્ર તરીકે પણ કામ કરી રહ્યો છે. પ્રવાસીઓમાં અને ખાસ કરીને વિજ્ઞાનમાં રસ ધરાવતા મુલાકાતીઓમાં આ પાર્ક અત્યારે અનોખું આકર્ષણ ઊભું કરી રહ્યો છે. ઉદ્ઘાટન થયા બાદ 2 મહિનાના સમયગાળમાં લગભગ 3500થી વધુ મુલાકાતીઓએ ટ્રોપિક ઑફ સેન્ટર સાયન્સ પાર્કની મુલાકાત લીધી છે, અને ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે મુલાકાતીઓની સંખ્યામાં વધારો થશે.
₹8 કરોડના ખર્ચે 5,930 ચોરસ મીટરમાં આ સાયન્સ પાર્ક વિકસિત
ઉલ્લેખનીય છે કે, GUJCOST દ્વારા ₹8 કરોડના અંદાજિત ખર્ચે લગભગ 5930 ચોરસ મીટર વિસ્તારમાં આ પાર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પાર્કના ઉદ્ઘાટન સમયે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ કેળવવા માટે આવી પહેલો મહત્વપૂર્ણ છે.
આ પાર્ક કર્કવૃત્તના ભૌગોલિક અને ખગોળીય મહત્વને સમજવા માટે એક ઇન્ટરેક્ટિવ શૈક્ષણિક અને સંશોધન કેન્દ્ર તરીકે સેવા આપે છે, જેમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સંબંધો અને ઋતુગત ફેરફારોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ઉષ્ણકટિબંધીય પ્રદેશો એ પૃથ્વીના એવા ભાગો છે જે પૃથ્વીના કેન્દ્રની નજીક છે અને તેમની પાસે અતિ સમૃદ્ધ જૈવવિવિધતાઓ છે. ઉષ્ણકટિબંધીય પ્રદેશ આશરે 40% ભૂમિ વિસ્તારને આવરી લે છે જે કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે આવે છે.
ટ્રોપિક ઑફ સેન્ટર (TOC) એટલે કે કર્કવૃત્ત, આપણી પૃથ્વીને વિભાજીત કરતા પાંચ મુખ્ય અક્ષાંશ વર્તુળોમાંનું એક છે, જેને ઉત્તરીય ઉષ્ણકટિબંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પૃથ્વી પરનું સૌથી ઉત્તરીય અક્ષાંશ વર્તુળ છે, જ્યાં સૂર્ય તેની પરાકાષ્ઠાએ સીધો માથાની ઉપર દેખાઇ શકે છે.
કર્કવૃત્ત ગુજરાતના સાત જિલ્લાઓમાંથી પસાર થાય છે
કર્કવૃત્ત એ વિષુવવૃત્તથી 23.50 ડિગ્રી ઉત્તરના ખૂણા પરની એક કાલ્પનિક રેખા છે, જે ભારત સહિત 16 દેશો, 3 ખંડો અને વિશ્વભરના 6 જળસંગ્રહોમાંથી પસાર થાય છે. ભારતમાં, કર્કવૃત્ત આઠ રાજ્યોમાંથી પસાર થાય છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં, તે સાત જિલ્લાઓમાંથી પસાર થાય છે, જેમ કે, (1) અરવલ્લી, (2) સાબરકાંઠા, (3) ગાંધીનગર, (4) મહેસાણા, (5) સુરેન્દ્રનગર, (6) પાટણ અને (7) કચ્છ. કર્કવૃત્ત ગુજરાતની ઉત્તરીય સરહદમાંથી પસાર થાય છે, જેના કારણે રાજ્યમાં ખૂબ જ ગરમ અથવા અથવા તો ખૂબ જ ઠંડું વાતાવરણ રહે છે.
કર્કવૃત્ત (TOC) અને તેના મહત્વ વિશે જાગૃતિ અને સમજણ કેળવવા તેમજ આ સાઇટને એક સંશોધન કેન્દ્ર (એક્સપ્લોરેશન પોઇન્ટ) તરીકે વિકસાવવા માટે, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાઇવે આ ટ્રોપિક ઑફ કેન્સર સાયન્સ પાર્ક વિકસાવવામાં આવ્યો છે.
જયંતિ પરમાર સાબરકાંઠા




