ઘૂસણખોરી કરી ભારતમાં આવ્યાં હોવાનો ખુલાસો:ભરૂચમાં 1,000 શંકાસ્પદોની તપાસ બાદ 29 બાંગ્લાદેશીઓ સામે અટકાયતી પગલાં
સમીર પટેલ, ભરૂચ
પહેલગામમાં આતંકવાદી હૂમલા બાદ ગુજરાતમાં ઘુસણખોરોને શોધીને ડીપોર્ટ કરવાની કવાયત ચાલી રહી છે. ભરૂચ જિલ્લામાં પણ પોલીસે 1,000 જેટલા શંકાસ્પદ લોકોની તપાસ હાથ ધરી 29 બાંગ્લાદેશીઓને અલગ તારવી લીધાં છે. આ તમામને તેમના દેશ પરત મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ તમામને રવિવારે બપોરે બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી પોલીસ હેડકવાટર્સ સુધી પગપાળા લઇ જવાયા હતાં. આ તમામની વિવિધ સ્થળોએથી અટકાયત કરવામાં આવી હતી. પોલીસે અલગ તારવેલાં 29 બાંગ્લાદેશીઓમાં 15 જેટલી યુવતીઓ છે જે આસપાસના વિસ્તારના સ્પામાં કામ કરતી હોવાનું સામે આવ્યું છે.
પોલીસની 50 ટીમોએ પરપ્રાંતિય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરી 1,000 જેટલા શંકાસ્પદોને શોધી કાઢયા હતાં. તેમનું બાયોમેટ્રીક કરાવતાં મોટાભાગના પશ્ચિમ બંગાળના મુસ્લિમ નીકળ્યાં હતાં જયારે 29 બાંગ્લાદેશી હોવાનું ફલિત થયું હતું. આ બાંગ્લાદેશીઓ પશ્ચિમ બંગાળની સરહદથી ઘુસણખોરી કરીને ભારતમાં અને બાદમાં ભરૂચ આવી ધંધો- રોજગાર કરવા લાગ્યાં હતાં.
તળાવ ભાડે રાખી માછીમારીનો વ્યવસાય કરતાં હતાં
ભરૂચ પોલીસે અટકાયત કરેલાં એક બાંગ્લાદેશી યુવાનની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તે 2003માં પશ્ચિમ બંગાળની સરહદેથી ઘુસણખોરી કરીને ભરૂચ આવ્યો હતો અને 2003થી ભરૂચમાં તળાવ ભાડે રાખી માછીમારીનું કામ કરી રહયો છે. આ યુવાને વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, તેણે 3 લાખ રૂપિયા આપીને તળાવ ભાડે લીધું હતું. પોલીસે તેમને પકડીને લઇ આવી છે અને તમામ દસ્તાવેજો કબજે લઇ લીધાં છે. હવે અમને વતન પરત મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે.