રાજ્યની શાળાઓમાં ખાલી જગ્યાઓ પર નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ

ગુજરાત સરકારે વિદ્યાસહાયકોની ભરતીને લઈને તાત્કાલિક ધોરણે પોતાના મનસ્વી નિર્ણયને બદલવાની ફરજ પડી છે. સરકારે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય હવે રદ કર્યો છે. આ અંગે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને માહિતી આપી છે.
હકીકતમાં, શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાસહાયકોની ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં નવા શિક્ષકોની બદલે ધોરણ 1થી 12માં ખાલી જગ્યાઓમાં નિવૃત્ત શિક્ષકોની 11 માસના કરાર હેઠળ ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
જૂના નિયમમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત શિક્ષકોને માનદવેતનથી ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો. આ માટે પરિપત્રમાં નિયમો પણ બનાવવામાં આવ્યા હતા.
જોકે, આ નિર્ણયનો વિરોધ થયા બાદ સરકારને આ તઘલઘી નિયમ પાછો લેવો પડ્યો છે. એકબાજું જ્યાં હજારો-લાખોની સંખ્યામાં ઉમેદવારોનું શિક્ષક બનવાનું સપનું ભરતી ન પડતી હોવાના કારણે રોળાય છે. ત્યાં બીજી બાજું ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાના આ મનસ્વી નિર્ણયનો ઉમેદવારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ અને ટીકાઓના વંટોળના કારણે સરકાર ભોંઠી પડી અને બે દિવસમાં જ આ નિર્ણય પરત ખેંચવામાં આવ્યો છે.




