ખાંભા તાલુકાના રબારીકા (ગીર) ગામનું પ્રથમ ‘સખી સ્નેહ મિલન’ સુરતમાં હર્ષોલ્લાસભેર યોજાયું

સુરત: ખાંભા તાલુકાના રબારીકા (ગીર) ગામની બહેનો માટે પ્રથમ વખત આયોજિત ‘સખી સ્નેહ મિલન’ કાર્યક્રમ આવકાર ગાર્ડન રેસ્ટોરન્ટ એન્ડ પાર્ટી પ્લોટ, એન્થમ બિઝનેસ પાર્ક-3, કેનાલ રોડ, એન્થમ સર્કલ, સુરત ખાતે ભવ્ય અને સફળતાપૂર્વક યોજાયો હતો.
કાર્યક્રમમાં રબારીકા (ગીર) ગામની મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. વર્ષો બાદ બાળપણની સખીઓ એક જ મંચ પર મળી લાગણીસભર ક્ષણો માણી હતી. કાર્યક્રમ દરમિયાન બહેનો માટે વિવિધ મનોરંજક રમતો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ બહેનોએ ઉત્સાહ અને આનંદ સાથે ભાગ લીધો હતો. વિજેતા બહેનોને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન હાસ્ય, ઉમંગ અને આત્મીયતાનો માહોલ છવાઈ ગયો હતો.
આ પ્રસંગે મનોજભાઈ રાખોલીયા, વસંતભાઈ સેંજલીયા, પરેશભાઈ પરમાર, ઘનશ્યામભાઈ ડોબરીયા, અમિતભાઈ ધડુક, ભાનુભાઈ કાપડિયા, ચંદ્રેશભાઈ સાવલિયા, રવિભાઈ સેંજલીયા, રાકેશભાઈ સેંજલીયા, ઈશ્વરભાઈ રાખોલીયા અને ચેતનભાઈ રાદડિયા સહિત ગામના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સમગ્ર સખી સ્નેહ મિલન કાર્યક્રમનો ખર્ચ ગામના ઉદાર દાતાશ્રીઓના સહયોગથી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે દાતાશ્રીઓ, આયોજકો અને તમામ સહયોગીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આયોજકો દ્વારા જણાવાયું હતું કે આવા સ્નેહમિલન કાર્યક્રમોથી ગામની બહેનો વચ્ચે પરસ્પર પ્રેમ, એકતા અને આત્મીયતાનો સંબંધ વધુ મજબૂત બને છે. કાર્યક્રમના અંતે તમામ બહેનોએ આગામી વર્ષોમાં પણ વધુ ભવ્ય રીતે આવા સ્નેહમિલનનું આયોજન કરવાની ભાવના વ્યક્ત કરી હતી.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત






