જેલો હોય જ નહી તો !!!! મહેશ દવે નિવૃત જેલર

તા.10/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
દેશ અને દુનિયામાં જેલો હોય જ નહી તો ? આવી પરીકલ્પના ઘડીક આનંદ ચોકસ આપે છે પણ ક્યારેય એવું શક્ય નથી. પણ એક વાત ખરી છે કે દુનિયામાં ઘણા દેશો એવા છે જ્યાં પ્રતિદિન ક્રાઈમ ઘટતો જાય છે. જેલો ખાલી થતી જાય છે. અમુક વિકસિત દેશોમાં લોકો પાસે આ ક્રાંતિકારી યુગમાં ગુન્હાઓ કરવાનો સમય નથી કે જરૂર નથી ઈચ્છા નથી થતી. દરેક વ્યક્તિ પોતાના વિકાસમાં વ્યસ્ત છે. પૈસા સ્ટેટ્સ બનાવવામાં લાગેલો છે. પણ આપણા દેશમાં સો ટકા એવું શક્ય નથી.કહેવાતી ધાર્મિક અને પ્રમાણિક ભારતીય પ્રજા માટે એવુ સંભવ નથી. જયારથી માનવની ઉત્પતિ થઈ ત્યારથી જેલોની જરૂરિયાત રહી છે. અરે સતયુગમાં પણ આપણા દેવી દેવતાના હાથમાં ગદા, તલવાર ત્રિશૂળ કે સુદર્શન ચક્ર જેવા હથિયારો એટલે જોવા મળે છે કે એ વખતે પણ દેવી દેવતાઓ સાથે અસુરો પણ અસ્તિત્વમાં હતા અસુરોનો ત્રાસ હતો તો અત્યારે તો હળાહળ કળયુગ છે. એટલે જેલો વિનાની દુનિયાની કલ્પના પણ ન કરી શકાય. ૮૪ લાખ જીવ સૃષ્ટિમાં માનવી સૌથી બુદ્ધિશાળી અને સામાજિક પ્રાણી છે. દુનિયાના દરેક ક્ષેત્રમાં કલ્પનાતીત વિકાસ માનવ થકી થયો છે. જંગલી માનવથી અવકાશયાત્રી સુધીની સફર કરી મંગળ સુધી પહોંચી શક્યો છે પણ છતાં ગુન્હાહિત માનસિકતા કાયમી રહી છે. આશ્ચર્યની વાત છે કે પૃથ્વી ઉપર હજારો હિંસક માંસાહારી પ્રાણીઓ લાખો શાકાહારી પ્રાણીઓ કરોડો જળચર પ્રાણીઓ અને માંસાહારી પક્ષીઓની દુનિયામાં કોઈ પણ જીવ માટે જેલની જરૂર નથી પડતી. પરંતુ મનુષ્ય સૌથી સમજદાર બુધ્ધિશાળી હોવા છતાં એના માટે પોલીસ, ન્યાયિક વ્યવસ્થા અને જેલ હોવી અતિ આવશ્યક છે. કેમ કે મનુષ્યને કુદરત દ્વારા કે સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ નીતિ નિયમોનું પાલન કરવું ગમતું નથી એટલે જ માનવીને અંકુશમાં રાખવા માટે જેલોની જરૂર પડે છે.
માનવી જ એક દંભી પ્રાણી એટલા માટે કહેવાય છે કે ગાયને માતા કહીએ પણ તેત્રીસ કરોડ દેવતાઓ સાથે ભાગોળે ગંદકી ખાવા રઝળતી મૂકી દઈએ ક્યારેય ભેંસ કે ઘોડી ગંદકી ખાતી જોવા નહી મળે. આપણે કુંભમાં સ્નાન કરવા પણ જઈએ અને ૩૧ ડિસેમ્બર દારૂની પાર્ટીમાં પણ હાજરી આપીએ છે. આપણે ભ્રષ્ટાચારનો વિરોધ પણ કરીએ અને આપણા ખુદના ધંધામાં દૂધમાં પાણીથી લઈને અને ૨૦૫ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં ભેળસેળ કરીને ભ્રષ્ટાચાર કરીએ ખરા. વ્યસન મુક્તિની વાતો કરનારા મોઢામાં રહેલ તંબાકુ મસાલા છાનામાના બહાર થૂંકીને વ્યસન મુક્તિના ભાષણો કરીને સાંજે મધુરપાન કરતા હોય છે. ઘણા મિત્રો શ્રાવણ માસમાં કે નવરાત્રીમાં દારૂ ન પીવે પણ અષાઢની સાંજ સુધી અને ભાદરવાના પહેલા દિવસે એક સાથે સાટું વળી દે. પોતાની માતા જો વિધવા હોય તો ગંગા સ્વરૂપ અને બીજાની મા વિધવા હોય તો રાંડીરાંડ, બીજા ઉપર દુઃખ પડે તો કર્મોનું ફળની સજા અને પોતાના ઉપર દુઃખ આવે તો ભગવાન સાચાની કસોટી કરે છે. પોતાની દીકરીને સાસરીમાં જિન્સ કે બર્મુળો પહેરવાની આઝાદી હોય તો સાસરિયા ફોરવર્ડ છે એમ કહીને વખાણ કરીએ અને પુત્રવધૂ જિન્સ પહેરે તો એના મા-બાપના સંસ્કારમાં ખામી દેખાય છે.
આમ મનુષ્ય ૫૧૧ પ્રકારના ક્રાઈમથી ઘેરાયેલો છે. યુગોથી ક્રાઈમ કરતો રહ્યો છે કરતો રહેવાનો છે. વાદ વિવાદ,રાગ દ્વેષ ઈર્ષાથી ભરેલો છે. એટલે આપણે ભલે એવું કહીએ કે હમ ઉસ દેશ કે વાસી હૈ જીસ દેશ મેં ગંગા બહતી હૈ ! પણ દેશ અને ગુજરાતમાં નવી નવી જેલોની જરૂરિયાત વધી રહી છે. જેલોમાં નવી નવી બેરેકનું નિર્માણ થઈ રહ્યું છે. આમ જેલો વિનાની દુનિયાની પરિકલ્પના પણ હાસ્યસ્પદ છે. સરેરાશ ગુજરાતની 50 જેલોમાં રોજના 500 થી વધુ આરોપીઓની આવક છે જે પૈકી ગંભીર ગુણના આરોપીઓ બિનજામીન લાયક ગુનામાં જેલમાં રહે છે. બાકીના સાંજે જામીનમુક્ત થઈ જાય મતલબ રોજના લગભગ 450 થી વધુ આરોપીઓ જામીન ઉપર છૂટે એટલે મહિનાના 12000 થી 15000 અને વર્ષના ₹1,50,000 જેટલા આરોપીઓને આપણે સમાજમાં છુટા મુકીએ છીએ જો એમ કરવામાં ન આવે તો દેશની અને રાજ્યની જેલો ઉભરાઈ જાય અને જેલની અંદર સુરક્ષા વિશે સવાલો ઊભા થાય એટલા માટે આરોપીઓને જામીન આપવા જરૂરી છે. નહિતર તો કેદીઓનો નિભાવ ખર્ચ સરકારને પણ વહન કરવામાં મુકેલી પડી શકે છે. એટલું જ નહીં આરોગ્ય વિષયક પ્રશ્નો પણ ઉપસ્થિત થાય એટલા ગુનેગારોને જેલમાં સાચવવા માટે એટલો સ્ટાફ પણ પર્યાપ્ત નથી માટે આ દેશમાં આ યુગમાં વધતા જતા ક્રાઈમને જોતા સામાન્ય રીતે લોકો એવું કહેતા હોય કે કોઈને છોડવા જ ન જોઈએ સરકાર શા માટે છોડી દે છે પણ નહીં છોડવાથી કેટલા પ્રકારની સમસ્યાઓ ઉપસ્થિત થાય તે આમ જનતાને સમજાય નહીં પરંતુ જેલોની આવશ્યકતા એટલા માટે પણ છે કે ગુન્હો કરતા પૂર્વે જેલોનો ડર લાગે છે. ડરના કારણે ક્રાઈમ કંટ્રોલમાં રહે છે. ઘણા જેલમાં જઈને પસ્તાવો અને પ્રાયશ્ચિત કરીને ક્રાઈમની દુનિયામાંથી ગુન્હેગારો પાછા પણ ફરે છે. નવું જીવન શરૂ કરે છે. એટલે જેલ હોવી આવશ્યક છે.જેલ ન હોય તો મોટા ગુનેગારો આતંકીઓ ગેંગસ્ટરો એમને કંટ્રોલમાં રાખવા મુશ્કેલ થઈ જાય આટલા ગુનેગારો જેલમાં રહેતા હોવા છતાં જો ક્રાઈમ આટલી ઝડપથી વધી રહ્યો હોય તો જો જેલો ન હોય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું શું થાય એ પરીકલ્પના પણ બિહામણી લાગે છે. એટલે જેલો હોવી આવશ્યક છે.




