Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે મોટી લાખાવડ ખાતે રૂ. ૪૦૪ લાખના ખર્ચે બનેલ સુખભાદર નદી પરના પુલનું લોકાર્પણ કરાયું
તા.૯/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
“આવનારી પેઢીને શિક્ષણ, આરોગ્ય, જળ અને રસ્તાઓની સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર: સતત પ્રયત્નશીલ” – મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot: જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે રૂ.૪૦૪.૨૬ લાખના ખર્ચે વિંછીયા તાલુકાના મોટી લાખાવડ ગામના નિનામા રોડ વિસ્તારની સુખભાદર નદી પરના નવનિર્મિત પુલનું લોકાર્પણ કરાયું હતું.
મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, સુખભાદર નદી પરનો આ પુલ બે તાલુકાને જોડે છે. ૧૮ મીટરના ૬ ગાળાનો આર.સી.સી.ગર્ડરનો મેજર બ્રિજ બી.યુ.એસ.જી., કાર્પેટ અને સીલ કોટના ત્રણ લેયરમાં બનાવવામાં આવ્યો છે. ઉપરાંત, એપ્રોચ રોડમાં નદી બાજુ પ્રોટેક્શન વોલ, સાઇડ સોલ્ડર માટીકામ સહિતની કામગીરી કરાઈ છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગામના આ પુલ તરફ જતા કોઝ-વેનું કામ રૂ.૧ કરોડના ખર્ચે પૂર્ણ કરવાના આવશે. ચોમાસુ શરૂ થાય તે પહેલા રસ્તાના રીપેરિંગ કામ, તળાવો, ચેકડેમો અને કેનાલોના કામ પૂર્ણ કરવામાં આવશે. જેથી ગામના નાગરિકોને યોગ્ય સુવિધાઓ મળી રહેશે. વિંછીયા માર્કેટિંગ યાર્ડથી અમરાપુર જવાના રસ્તામાં દેખાતી ટાંકીઓનું પાણી ગોમા ડેમમાંથી ઉપલબ્ધ કરવામાં આવશે. વિંછીયા તાલુકાની આવનારી પેઢીને શિક્ષણ, આરોગ્ય, જળ અને રસ્તાઓની સુવિધાઓ પુરી પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
આ કાર્યક્રમમાં મહાનુભાવોનું પુષ્યમાળા પહેરાવીને કરવામાં સ્વાગત કરાયું હતું. એ.પી.એમ.સી.ના ચેરમેન શ્રી કડવાભાઈ જોગરાજીયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. પ્રાંત અધિકારીશ્રી આર.આર.ખાંભરાએ ગામવાસીઓને રાશન કાર્ડ ઈ- કે.વાય.સી.ની કામગીરી, ફાર્મર રજિસ્ટ્રેશન યોજના સહિતની યોજનાઓના લાભ લેવા ગ્રામના અગ્રણીશ્રીઓને અનુરોધ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અગ્રણી શ્રી અશ્વિનભાઈ સુરાણીએ કર્યું હતું.
આ તકે લાખાવડના સરપંચશ્રી નયનભાઈ કાળુભાઈ, ઉપસરપંચ શ્રી લાખાભાઈ વાલાણી, સરપંચશ્રી દેવરાજભાઈ, અગ્રણીઓશ્રી વિપુલભાઈ, શ્રી ચતુરભાઈ રાજપરા, શ્રી મોહનભાઈ વજાસરા, શ્રી કાળુભાઈ તલાવળિયા, શ્રી સંજયભાઈ, શ્રી રમેશભાઈ રાજપરા, શ્રી ઘનશ્યામભાઇ, માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી જયેશભાઈ રાઠોડ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.