અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગનો હીટવેવ સામે અનોખો જાગૃતિ અભિયાન: ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર નોટિસ બોર્ડના માધ્યમથી સુચનાઓ પ્રસારિત
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: રાજ્યમાં વધતી ગરમી અને હીટ રિલેટેડ ઇલનેસની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા એક અનોખું અને વ્યાપક જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગામોના જાહેર નોટિસ બોર્ડનો ઉપયોગ કરી લોકોમાં લૂથી બચવાના ઉપાયો વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, ડેરીઓ, મંડળીઓ અને અન્ય મહત્વપૂર્ણ જાહેર સ્થળોએ નોટિસ બોર્ડ પર હીટવેવ સામેની સાવચેતીના ઉપાયો લખ્યા છે.
વિરમગામથી શરૂઆત કરાયેલી આ પહેલ હવે જિલ્લામાંના અન્ય તાલુકાઓમાં પણ પ્રવૃત્તિરૂપે આગળ વધી રહી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર અને રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઈના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીના મૌસમમાં લોકોને પોતાની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા અનુરોધી રહ્યા છે.
નોટિસ બોર્ડ પર દર્શાવવામાં આવેલા ઉપાયોમાં ખાસ કરીને નીચેના મુદ્દાઓનો સમાવેશ થયો છે:
-
તીવ્ર ગરમીમાં ઘરની બહાર ન જવાનું ટાળવું
-
નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા માતાઓ અને અશક્ત વ્યક્તિઓએ તડકામાં ન ફરવું
-
ખુલ્લા, સફેદ અને સુતરાઉ કપડાં પહેરવા
-
પુષ્કળ માત્રામાં પાણી, છાશ અથવા લીંબુ પાણી પીવાનું
-
ભીના કપડાંથી માથું ઢાંકી રાખવું અને ભેજ વડે શરીરને ઠંડક આપવી
-
લૂ જેવી અસર જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો
આ અભિયાનથી ગામોમાં આરોગ્ય વિષયક જાગૃતિ વધે અને હીટવેવથી થતી ગંભીર અસરો ઘટાડવામાં મદદ મળશે તેવી આશા આરોગ્ય વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.