
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દક્ષિણ ગુજરાતમાં પડેલા અનરાધાર વરસાદે અનેક પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું હતું. વાંસદા તાલુકાના ચંપાવાડી, પ્રતાપનગર સહિતના અનેક ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોના ઘરવખરી, અનાજ અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. આવી વિકટ પરિસ્થિતિમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. ચાવડા સહિત વાંસદા પોલીસ ટીમે જીવના જોખમે બચાવ કામગીરી હાથ ધરી હતી. અંધકારમય વાતાવરણ અને સતત વરસાદમા અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડયા હતાં બચાવ કામગીરી બાદ પણ પોલીસની સેવા અટકી નહોતી. ચંપાવાડી અને પ્રતાપનગર ગામોમાં DySP શ્રી એચ.બી. ચાંદુ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.વી. ચાવડા સાહેબની આગેવાની હેઠળ વાંસદા પોલીસ ટીમ તથા RP મોબાઇલ દ્વારા અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી પૂરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળી રહે. મુશ્કેલીની ઘડીમાં જીવનજરૂરિયાતની સામગ્રી પહોંચાડીને પોલીસે સમાજ પ્રત્યેની પોતાની સંવેદના અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.પૂરગ્રસ્તોના ચહેરા પર ચિંતા વચ્ચે જ્યારે પોલીસ જવાનો સહાય લઈને તેમના દ્વારે પહોંચ્યા, ત્યારે ત્યાં માત્ર રાહત જ નહીં પરંતુ વિશ્વાસ અને હૂંફનો અહેસાસ પણ જોવા મળ્યો હતો. યુનિફોર્મમાં રહેલા પોલીસકર્મીઓએ સાબિત કર્યું કે પોલીસ માત્ર કાયદાની અમલવારી માટે જ નહીં, પરંતુ આપત્તિના સમયમાં સમાજનો સાચો સહયોગી પણ છે. સ્થાનિક લોકોએ વાંસદા પોલીસની આ સેવાભાવી કામગીરીને હૃદયપૂર્વક બિરદાવી હતી.




