તા.૦૯.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના લીમડાબરા ગામના પ્રગતિશીલ ખેડૂત વસનાભાઈ પસાયાએ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની જાણકારી માટેની તાલીમ આપી
દાહોદ તાલુકાના લીમડાબરા ગામના પ્રગતિશીલ ખેડૂત વસનાભાઈ પસાયા દ્વારા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી થતા ફાયદા અંગેની વિસ્તાર પૂર્વક સમજ આપવા માટે તાલીમ યોજવામાં આવી હતી. પ્રગતિશીલ ખેડૂત વસનાભાઈ પસાયાએ આવેલ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી થકી જળ, જમીન, પાક, વાતાવરણની સાથોસાથ આપણા સ્વાસ્થ્ય માટે થતા અઢળક ફાયદાઓ જણાવીને તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મુક્યો હતો. પ્રાકૃતિક ખેતીમાં શાકભાજી તેમજ અનાજની સાથોસાથ ફળાઉ પાક પણ કરી શકાય છે, જેમાં કોઈપણ પ્રકારના બાહ્ય રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર પણ પાકનું સારુ ઉત્પાદન મેળવી શકાય છે. તેમણે પ્રેક્ટિકલ દ્વારા પણ કુદરતી ખાતર કઈ રીતે બનાવી શકાય એ વિશે વિગતે સમજ આપી હતી. ખેડૂતની પોતાની અથાગ મહેનત સિવાય વધારાનો કોઈ ખર્ચ રહેતો નથી. ઉપરાંત સારુ ઉત્પાદન થતા આવક પણ ઘણી સારી મળે છે. બસ પોતાનો થોડો સમય પોતાના ખેતર, પાક, જમીન અને કુદરતી ખાતર બનાવવા પાછળ ખર્ચ કરવો પડે છે એમ તેમણે જણાવ્યું હતું