ભારતીય સેનાના શૌર્યથી ભરેલા પગલાં પર અમને ગર્વ છે:ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા
તાહિર મેમણ – ડેડીયાપાડા – 07/05/2025 – 22 એપ્રિલના પહેલગામ હુમલાના વળતો જવાબ ભારતના વીર જવાનોએ પાકિસ્તાનને જબરદસ્ત રીતે આપ્યો છે અને પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો અને એમના ઠેકાણા જમીનદોસ્ત કર્યા. આજે તમામ દેશવાસીઓને ભારતીય સેના પર ગર્વ છે. આ મુદ્દા પર આમ આદમી દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર આતંકવાદી હુમલો કરીને અનેક લોકોના ભોગ લેવામાં આવ્યા હતા. જેના કારણે સમગ્ર દેશમાં લોકોમાં ગુસ્સો હતો અને ન્યાયની માંગ હતી. જેને પગલે ભારત સરકાર અને ભારતીય સેના દ્વારા ગતરાત્રિએ ઓપરેશન સિંદુર અંતર્ગત એર સ્ટ્રાઈક કરવામાં આવી છે અને અમે ભારતીય સેનાની આ કાર્યવાહીના સંપૂર્ણપણે સમર્થનમાં છીએ.
જૈસ એ મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર એ તોયબા જેવા આતંકવાદી સંગઠનના નવ જેટલા ઠેકાણા ઉપર એર સ્ટ્રાઈક કરીને 100 જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને આ આતંકવાદી ઠેકાણાઓને નેસ્તોનાબૂદ કરવામાં આવ્યા છે. ભારતીય સેનાની આ સાહસથી ભરેલી કામગીરીને અમે બિરદાવીએ છીએ. જ્યારે જ્યારે પણ દેશની એકતા અને અખંડિતતા પર આતંકવાદીઓના હુમલા થશે તેનો જવાબ ભારતની સેના આ રીતે જ આપશે. ભારતીય સેનાના આવા શૌર્યથી ભરેલા પગલાં પર અમને ગર્વ છે. આ તબક્કે સમગ્ર દેશની જનતા સરકાર અને દેશની સેના સાથે છે, જય હિન્દ.