યુક્રેને 1200 KM દૂર રશિયાના ઓઇલ કેન્દ્ર પર કર્યો હુમલો, 12 લોકોના મોત

રશિયા-યુક્રેન યુદ્ધના ચોથા વર્ષમાં પ્રવેશેલા સંઘર્ષ વચ્ચે યુક્રેને રશિયાના અત્યંત અંદરના વિસ્તારો પર દૂરગામી ડ્રોન હુમલા તેજ કરી દીધા છે. યુક્રેનની સરહદથી 1200 કિલોમીટર દૂર આવેલા રશિયાના તાતારસ્થાન ક્ષેત્રના ‘નિઝનેકામસ્ક'(Nizhnekamsk) શહેર પર સોમવારે એક મોટો ડ્રોન હુમલો થયો હતો. આ હુમલામાં 12 લોકોના મોત થયા છે જ્યારે 39 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ઔદ્યોગિક તેમજ નાગરિક રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે.
નિઝનેકામસ્ક શહેર રશિયાનું એક અત્યંત મહત્ત્વપૂર્ણ તેલ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ કેન્દ્ર માનવામાં આવે છે. આશરે 2.40 લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં રશિયાની સૌથી એડવાન્સ ‘ટાટનેફ્ટની ટેનકો રિફાઇનરી’ (Tatneft’s Taneco refinery) સહિત બે મોટી તેલ રિફાઇનરીઓ અને એક પેટ્રોકેમિકલ પ્લાન્ટ આવેલો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં રિફાઇનરી ક્ષેત્રમાંથી કાળા ધુમાડાના ગોટા ઉડતા જોઈ શકાય છે. તાતારસ્થાનના વડા રુસ્તમ મિન્નિખાનોવે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી યુક્રેને રશિયાના તેલ મથકો પર સતત લોંગ-રેન્જ ડ્રોન હુમલા કરવાની વ્યૂહરચના અપનાવી છે. આ હુમલાઓનો મુખ્ય હેતુ રશિયાની ઓઇલ રિફાઇનિંગ ક્ષમતાને નુકસાન પહોંચાડીને દેશમાં ઇંધણની તંગી ઊભી કરવાનો અને રશિયન જનતામાં અસંતોષ વધારવાનો છે. યુક્રેની પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ હુમલાઓને સંપૂર્ણ વ્યાજબી ગણાવતા કહ્યું કે, “દરેક રશિયન હુમલાનો જડબાતોડ જવાબ અપાશે અને રશિયાએ પોતાના જ ઘરમાં યુદ્ધની ભયાનકતાનો અનુભવ કરવો પડશે.” હવે યુક્રેનના સ્વદેશી ડ્રોન સીમાથી 2000 કિમી દૂર સાઇબિરીયા સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.
સામે પક્ષે રશિયા પણ યુક્રેન પર મિસાઇલ, ગ્લાઇડ બોમ્બ અને ડ્રોન વડે સતત હુમલા કરી રહ્યું છે. રશિયન સંરક્ષણ મંત્રાલયનો દાવો છે કે તેમણે રાતોરાત 16 વિસ્તારો અને ક્રિમિયા તરફ આવી રહેલા 450 થી વધુ યુક્રેની ડ્રોનને પાડી પાડ્યા છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ જણાવ્યું કે યુક્રેનના મધ્ય દ્નિપ્રો ક્ષેત્રમાં તેમની એક ઇમરજન્સી મેડિકલ ગોડાઉન પર 24 કલાકમાં બે વાર હુમલો થયો હતો, જેમાં $5 લાખની રાહત સામગ્રી નષ્ટ થઈ ગઈ છે.
આ હુમલાઓ દર્શાવે છે કે યુદ્ધ હવે પરંપરાગત ફ્રન્ટલાઇનથી આગળ વધી ચૂક્યું છે. ઓઇલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ રશિયાની કમાણીનો મુખ્ય સ્ત્રોત છે, તેથી તેને નુકસાન પહોંચાડીને યુક્રેન રશિયા પર આર્થિક દબાણ લાવવા માંગે છે જેથી પ્રમુખ પુતિનને વાટાઘાટોની ટેબલ પર લાવી શકાય. હવે અંતર એ સુરક્ષાની કોઈ ગેરંટી રહ્યું નથી, અને બંને પક્ષે વધી રહેલા નાગરિકોના મોત આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ચિંતાનો વિષય બન્યા છે.



