JUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને ગિરનાર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારી સંદર્ભે બેઠક યોજાઈ

ધાર્મિક મહત્વ મુજબ નિયત સમયે ગિરનાર લીલી પરિક્રમા શરૂ કરવા અનુરોધ

ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા લાખો શ્રદ્ધાળુઓ માટે વીજળી,પાણી, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેકટરશ્રીએ આપી સૂચના

ચાર દિવસીય ગિરનાર લીલી પરિક્રમાનો તા.૨ નવેમ્બર થી પ્રારંભ થશે : ભાવિકોને પ્રતિબંધિત વિસ્તારમાં પ્લાસ્ટિક સાથે ન લાવવા અનુરોધ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને ગિરનાર લીલી પરિક્રમા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં ઉમટી પડતા શ્રદ્ધાળુઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સગવડતાઓ મળી રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.
ચાર દિવસીય ગિરનાર લીલી પરિક્રમા તા.૨ નવેમ્બરના રોજ પ્રારંભ થશે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાવિકોને ગિરનાર લીલી પરિક્રમાના ધાર્મિક મહત્વ મુજબ નિયત સમયે અને તિથિએ પરિક્રમા શરૂ કરવા, તેમજ પરિક્રમાના નિયત રૂટ પર જ પરિક્રમા કરવા ઉપરાંત ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે ન લાવવા માટે પણ કલેકટરશ્રી દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમા પધારતા લાખો શ્રદ્ધાળુઓ માટે વીજળી,પાણી, આરોગ્ય, કંટ્રોલરૂમ કાર્યરત કરવા, પ્રવાસી સહાયતા કેન્દ્ર શરૂ કરવા, સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને અધિકારીઓને જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. ઉપરાંત નળ પાણીનીઘોડીએ ભાવિકોના થતા ઘસારાને ધ્યાન રાખી વીજળી પાણીની સુવિધા સાથે વિશેષ વ્યવસ્થાઓ રાખવા માટે પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમાને ધ્યાને રાખી પરિવહન ટ્રાફિક વ્યવસ્થાપન, પાર્કિંગ વ્યવસ્થા માટે પણ જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા. ગિરનાર લીલી પરિક્રમા જવા માટેના રસ્તાઓ અને જંગલ વિસ્તારના રૂટના રસ્તાઓની જરૂરી મરામત માટે પણ કલેકટરશ્રીએ સંબંધીત અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકોનું આરોગ્ય ન જોખમાય તે માટે ખાદ્ય પદાર્થોની ચકાસણી ઉપરાંત દૂધ સહિતનો જરૂરી પુરવઠો ઉપલબ્ધ રહે તે માટે તકેદારી લેવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેકટર સુશ્રી એસ.બી.બારડ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ઉપરાંત વન વિભાગ, આરોગ્ય, માર્ગ અને મકાન, પીજીવીસીએલ, પાણીપુરવઠા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!