

ફૈઝ ખત્રી…શિનોર
સાધલી થી કાયાવરોહણ અને પોર સુધીનો અંદાજે ₹૫૭ કરોડના ખર્ચે બનતો માર્ગ છેલ્લા ૬ મહિનાથી અધૂરો પડી રહ્યો છે. રસ્તો ખોદાયેલી હાલતમાં હોવાથી વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધૂળના ગોટેગોટા ઉડતા હોવાથી ખાસ કરીને પરિવાર સાથે બાઇક પર જતા લોકોના આરોગ્ય પર પણ અસર પડી રહી છે.
૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ નવરાત્રીના પ્રસંગે આ માર્ગને ૭ મીટરથી વધારી ૧૦ મીટર પહોળો બનાવવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જોકે, છ મહિના વીતી ગયા હોવા છતાં ડામર કામ શરૂ થયું નથી. રસ્તા પર પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી, જેના કારણે સ્થિતિ વધુ ખરાબ બની રહી છે.
રસ્તા ની બંને બાજુ હજુ પણ વૃક્ષો ઊભા હોવાના કારણે કામ અટવાયેલું છે આમ પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું મળી રહ્યું છે.વન વિભાગ અને માર્ગ-મકાન વિભાગ વચ્ચે સંકલનના અભાવે કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. પરિણામે રસ્તો વાહનચાલકો માટે જોખમી બની ગયો છે.આ માર્ગ પર બેથી ત્રણ અકસ્માતો પણ બનવા પામ્યા છે.
જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે દેખાતા નેતાઓ હવે ગાયબ છે. દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓને ધૂળના કારણે મુશ્કેલી પડી રહી છે, જ્યારે ખેડૂતોના પાક પર પણ ધૂળની અસર થઈ રહી છે.
આ મુદ્દે કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીન્ટુ પટેલ દ્વારા સંબંધિત કચેરીએ રજૂઆત કરવામાં આવી છે..અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.




