TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત

દિલ્હીમાં રવિવારે એક મોટો રાજકીય ડ્રામા સર્જાયો હતો, જેમાં મમતા બેનરજી (Mamata Banerjee)ની પાર્ટી TMCના આશરે 20 સાંસદો બળવાખોર થઈ ગયા છે. આ તમામ નેતાઓ પહેલા ભાજપના મંત્રી ભૂપેન્દ્ર યાદવ (Bhupender Yadav)ના ઘરે ગયા હતા અને ત્યાં આશરે 2 કલાક બેઠા હતા. ત્યાર બાદ આ બળવાખોર સાંસદો લોકસભા સ્પીકર ઓમ બિરલા (Om Birla)ને પણ મળ્યા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસની અંદર લાંબા સમયથી ચાલી રહેલી કલહ અને નારાજગી હવે ખુલ્લીને સામે આવી ગઈ છે.
બળવાખોર સાંસદોમાં સુદીપ બંદ્યોપાધ્યાય, કાકોલી ઘોષ અને શતાબ્દી રોય (Shatabdi Roy) જેવા મોટા નામો સામેલ છે. આ જૂથે જાહેરાત કરી છે કે, તેઓ અસમ, ત્રિપુરા, બંગાળ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં અસ્તિત્વ ધરાવતી ‘નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI)’ નામની પાર્ટીમાં વિલય કરી રહ્યા છે. તેઓ હવે આગળ જઈને ભાજપની આગેવાની હેઠળના NDAને પોતાનું સમર્થન આપશે. આ સાંસદોની સંખ્યા બે-તૃતીયાંશથી વધુ હોવાથી તેમના પર પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થશે નહીં.
લોકસભા સ્પીકર સાથેની બેઠક બાદ ટીએમસીના બાગી સાંસદ કાકોલી ઘોષ (Kakoli Ghosh) દસ્તીદારે જણાવ્યું કે, ‘અમે ટીએમસીથી ચૂંટાયેલા વીસ સાંસદો સ્પીકરને મળ્યા અને અલગ બેસવાની રિકવેસ્ટ કરતો એક પત્ર આપ્યો. આ વીસ સાંસદો અમારી કુલ સંખ્યાના બે-તૃતીયાંશથી વધારે છે. અમે નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી સાથે મર્જ કરી રહ્યા છીએ. આગળ વધતા, અમે દેશ માટે કામ કરીશું અને વડાપ્રધાનના નેતૃત્વમાં NDA સાથે મળીને કામ કરીશું.’
આ મામલે અન્ય બાગી સાંસદ સુદીપ બંદ્યોપાધ્યાયે (Sudip Bandyopadhyay) જણાવ્યું કે, ‘NCPIમાં અમે મર્જ કરીશું. સ્પીકર પાસે હસ્તાક્ષર સહિતનું આવેદનપત્ર જમા કરાવી દેવાયું છે. તેના પછી 20 જુલાઈએ લોકસભા ખુલશે. તે પહેલા અમારો બ્લોક રહેશે. તેમને દફતર આપવામાં આવશે. તેના પછી કોણ અસલી તૃણમૂલ છે, તેનો ફેંસલો કોર્ટમાં થશે અને કોર્ટનો જે ફેંસલો હશે, તેને માનવામાં આવશે.’
આ રાજકીય ઉથલ-પાથલ મુદ્દે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી (CM Shubhendu Adhikari)એ દાવો કર્યો કે, ટીએમસી એક મહિનાની અંદર જ વેરવિખેર થઈ જશે. તેમણે ઉમેર્યું કે પાર્ટીના ઘણા નેતાઓ હવે અલગ રસ્તો શોધી રહ્યા છે અને એક વરિષ્ઠ નેતા દિલ્હીમાં સક્રિય છે. પોતાના ભાષણમાં તેમણે ટીએમસી પર અહંકાર, ભ્રષ્ટાચાર તેમજ અત્યાચારના આરોપો લગાવીને પાર્ટીના ભવિષ્ય સામે સવાલો ઉભા કર્યા હતા.
બીજી તરફ, ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અને સંસદીય દળના નેતા અભિષેક બેનરજી (Abhishek Banerjee)એ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને આ બાગી જૂથને કોઈ માન્યતા ન આપવાની માંગ કરી છે. તેમણે આગ્રહ કર્યો છે કે લોકસભામાં ટીએમસીને માત્ર તેના અધિકૃત નેતા અને અધિકૃત વ્હીપના માધ્યમથી જ પ્રતિનિધિત્વ કરનારી એકમાત્ર પાર્ટી માનવામાં આવે. આ કથિત અલગ જૂથને કોઈ દરજ્જો કે સુવિધા ન આપવી જોઈએ અને તેઓ પક્ષપલટા કાયદા હેઠળ કાર્યવાહીનો અધિકાર અનામત રાખે છે.





