NEET આંદોલન સફળ રહ્યા બાદ કોકરોચ જનતા પાર્ટીનો નવો પ્લાન! દેશભરમાં ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત

કોકરોચ જનતા પાર્ટી (CJP) ભવિષ્યના રોડમેપને આખરી ઓપ આપવા માટે બુધવાર અને ગુરુવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં બે દિવસીય વ્યૂહાત્મક બેઠક યોજશે. જેમાં CJPના સ્થાપક અભિજિત દીપકે, પ્રવક્તાઓ અને સંગઠનાત્મક નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. કોકરોચ જનતા પાર્ટી (CJP) એ NEET પેપર લીક સામેના પોતાના આંદોલનની સફળતા બાદ સમગ્ર ભારતમાં યુવાનો સાથે જોડાવા માટે દેશવ્યાપી લિસનિંગ ટુર (Listening Tour) ની યોજનાઓની જાહેરાત કરી છે.
સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરવામાં આવેલા એક નિવેદનમાં, સંગઠને ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં બુધવાર અને ગુરુવારે બે દિવસીય બેઠકની જાહેરાત કરી છે. CJP સ્થાપક અભિજિત દીપકે, પ્રવક્તાઓ અને સંગઠનાત્મક નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે. પાર્ટીના જણાવ્યા અનુસાર, જંતર-મંતર આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનારા આશરે 50 સ્વયંસેવકો સહિત વિવિધ ભાગીદારો સાથે દિવસો સુધી ચાલેલી ચર્ચા વિચારણા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દેશવ્યાપી લિસનિંગ ટુરના ભાગરૂપે, CJPએ જણાવ્યું કે, તે આગળની કાર્યવાહી નક્કી કરતા પહેલા યુવાનોની આકાંક્ષાઓ અને ચિંતાઓને સમજવા માટે દેશભરના વોલિયન્ટર્સનો સંપર્ક કરશે. તેમનું કહેવું છે કે, આ આઉટરીચ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય એવા યુવા વર્ગ સાથે જોડાવાનો છે કે, જેઓ તેમના આંદોલનની સફળતા બાદ આશાવાદી બન્યા છે. આ આંદોલનને કારણે પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું, અને બે મહિના લાંબુ આંદોલન સમાપ્ત થયું હતું.
CJPના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું હતું કે, ‘યુવાનોના હાથે આ અહંકારી સરકારની હાર દર્શાવે છે કે, જ્યારે યુવાનો એક થાય છે, ત્યારે તેઓ કંઈ પણ હાસલ કરી શકે છે. અમારી ટીમ યુવાનોની અપેક્ષાઓને અર્થપૂર્ણ ક્રિયાઓમાં બદલવા માટે શ્રેષ્ઠ માર્ગ તૈયાર કરવા માટે કામ કરી રહી છે.’ પાર્ટીએ જણાવ્યું છે કે, તે આગામી દિવસોમાં દેશવ્યાપી લિસનિંગ ટુરના શેડ્યૂલ અને ફોર્મેટ સહિતની વધુ વિગતો જાહેર કરશે. આ ઝુંબેશ CJPના સંગઠનાત્મક અને રાજકીય માળખાને આકાર આપશે તેવી અપેક્ષા છે.




