અલાહાબાદ હાઈકોર્ટે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની બેવડી નાગરિકતા મુદ્દે દાખલ અરજી ફગાવી
અલાહાબાદ હાઈકોર્ટે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની બેવડી નાગરિકતા મુદ્દે દાખલ અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે આ અરજી પર અરજદાર એસ. વિગ્નેશ શિશિરને અન્ય કાયદાકીય વૈકલ્પિક માર્ગ અપનાવવાની છૂટ આપી છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને દસ દિવસની અંદર ફરિયાદનું નિરાકરણ લાવવા આદેશ આપ્યો હતો. પરંતુ સરકારે કોઈ જવાબ કે ચોક્કસ સમય મર્યાદા ન જણાવતાં અરજી રદ કરી છે. પાછલી સુનાવણીમાં કેન્દ્ર સરકારે આ મામલે સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો.
જસ્ટિસ એઆર મસૂદી તથા જસ્ટિસ રાજીવ સિંહની બેન્ચે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અરજદારની ફરિયાદના નિરાકરણ માટે કોઈ સમય મર્યાદા આપી શકી નથી, તેથી આ અરજીને પેન્ડિંગ રાખવાનું કોઈ વાજબી કારણ નથી. કોર્ટે અરજદારને કહ્યું કે તે અન્ય વૈકલ્પિક કાનૂની ઉપાયો અપનાવવા માટે સ્વતંત્ર છે.
આ અરજી કર્ણાટકના એસ વિગ્નેશ શિશિરે દાખલ કરી હતી. આ કેસમાં અરજદાર વતી દલીલ કરવામાં આવી હતી કે તેમની પાસે બ્રિટિશ સરકારના ઘણા દસ્તાવેજો અને કેટલાક ઇમેઇલ્સ છે જે દર્શાવે છે કે રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે. જેથી તેઓ ભારતમાં ચૂંટણી લડવાના હકદાર નથી અને તેઓ લોકસભા સભ્ય પદ સંભાળી શકતા નથી. અરજદારે રાહુલ ગાંધીના સાંસદ તરીકે કામગીરી કરવા સામે રિટ ઓફ ક્યુ વોરંટ જારી કરવાની પણ માંગ કરી હતી. આ સાથે, રાહુલ ગાંધીના બેવડા નાગરિકત્વને BNS (ભારતીય ન્યાય સંહિતા) અને પાસપોર્ટ અધિનિયમ હેઠળ ગુનો ગણાવી CBIને કેસ નોંધી તપાસ કરવાનો આદેશ આપવાની માંગ પણ કરવામાં આવી હતી.
કર્ણાટકના રહેવાસી વિગ્નેશ શિશિરે એક અરજી કરીને દાવો કર્યો છે કે રાહુલ ગાંધીએ બ્રિટનની એક કંપનીના ડિરેક્ટર રહેતાં પોતાને બ્રિટિશ નાગરિક ગણાવ્યા હતા. ચૂંટણી પંચની માર્ગદર્શિકાનો ઉલ્લેખ કરીને, અરજદારે કહ્યું કે બેવડી નાગરિકતા ધરાવનાર વ્યક્તિ ચૂંટણી લડવા માટે લાયક નથી.વિગ્નેશ શિશિરે ભારતીય નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 9(2) હેઠળ રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની માંગ કરી હતી.અગાઉ, આ કેસની સુનાવણી 24 માર્ચે લખનઉ હાઈકોર્ટમાં થઈ હતી. જસ્ટિસ એઆર મસૂદી અને જસ્ટિસ અજય કુમાર શ્રીવાસ્તવની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકારને ચાર અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ રજુ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સરકારે 8 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. આ અંગે સુનાવણીની તારીખ 21 એપ્રિલ નક્કી કરવામાં આવી હતી.
19 ડિસેમ્બર, 2024ના રોજ, જસ્ટિસ રાજન રોય અને ઓમ પ્રકાશ શુક્લાની બેન્ચે એડિશનલ સોલિસિટર જનરલ (ASG) સૂર્યભાન પાંડેને કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી માહિતી માંગવાનો નિર્દેશ આપ્યો હતો. ગૃહ મંત્રાલયે હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેણે યુકે સરકારને પત્ર લખ્યો છે. યુનિયન એફ ઈન્ડિયા વતી હાજર રહેલા વકીલે કહ્યું કે સમય આપવો જોઈએ. સમગ્ર મામલામાં શું તપાસ ચાલી રહી છે. તેનો સંપૂર્ણ રિપોર્ટ 8 અઠવાડિયામાં તૈયાર કરીને રજૂ કરવામાં આવશે.