દેશમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડતાં દુષ્કાળનો ખતરો સતત વધી રહ્યો છે. : સ્કાયમેટ વેધર

દેશમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડતાં દુષ્કાળનો ખતરો સતત વધી રહ્યો છે. હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ વેધર દ્વારા જાહેર કરાયેલા અંદાજ મુજબ, ભારતમાં આ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન સામાન્ય કરતાં ઘણી ઓછી એટલે કે દીર્ઘકાલીન સરેરાશના માત્ર 85% વરસાદ થવાની શક્યતા છે. પ્રશાંત મહાસાગરમાં ઝડપથી સક્રિય થઈ રહેલા અલ નીનોના કારણે ચોમાસું નબળું પડતાં દેશમાં દુષ્કાળનું જોખમ વધીને 70% સુધી પહોંચી ગયું છે.
સ્કાયમેટના જણાવ્યા અનુસાર, બાકી બચેલી સિઝનમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું અસમાન વિતરણ જોવા મળશે. ઑગસ્ટના અંત સુધીમાં વરસાદની અછત સરેરાશ 16% નોંધાઈ શકે છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં અલ નીનો વધુ શક્તિશાળી બનીને સુપર અલ નીનોમાં ફેરવાઈ જવાની સંભાવના છે, જેના કારણે સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય કરતાં 20% જેટલો ઓછો રહેવાની આશંકા છે.
ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. અખિલ શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ, દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્યથી ઓછું રહેવાની શક્યતા છે અને સરેરાશના 90% વરસાદ થઈ શકે છે. દેશભરમાં 1 જૂનથી 17 ઑગસ્ટ સુધી સામાન્ય રીતે 596 મિમી વરસાદ થવો જોઈતો હતો, પરંતુ તેની સામે વાસ્તવમાં 518.7 મિમી વરસાદ જ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 13%ની ઘટ દર્શાવે છે. આ સમગ્ર ચોમાસાની ઋતુની સરેરાશ સામાન્ય રીતે 870 મિમી આસપાસ હોય છે.
ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, રાજસ્થાન અને હરિયાણા સહિતના ઉત્તર-પશ્ચિમ ભારતમાં 408.7 મિમી સામાન્ય વરસાદ સામે 361.7 મિમી વરસાદ નોંધાયો છે, જે 12% નો ઘટાડો દર્શાવે છે. દક્ષિણ ભારતમાં પણ 477 મિમીની સરખામણીએ 375 મિમી વરસાદ નોંધાતા 13%ની અછત છે. પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં સામાન્ય 938.7 મિમી સામે માત્ર 684.8 મિમી વરસાદ થતાં સૌથી વધુ 27%નો મોટો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવા મધ્ય ભારતના રાજ્યોમાં 667.5 મિમી વરસાદ થતાં 1% જેટલી સામાન્ય ઘટ છે.
હાલ વરસાદ લાવનારી મોન્સૂન ટ્રફ લાઇન પંજાબના ફિરોઝપુર, મુઝફ્ફરનગર, બસ્તી, પટના અને પશ્ચિમ બંગાળ પર બનેલા ડિપ્રેશનના કેન્દ્ર પરથી બંગાળની ખાડી સુધી વિસ્તરેલી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને હરિયાણા પર ચક્રવાતી પવનોનું ક્ષેત્ર સક્રિય છે તેમજ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે.




