દેશભરમાં ‘એક રાજ્ય, એક ગ્રામીણ બૅંક’ યોજના લાગુ, 11 રાજ્યોમાં બેંકોનું મર્જર
દેશભરમાં આજથી ‘એક રાજ્ય, એક ગ્રામીણ બૅંક’ યોજના લાગુ કરી દેવાઈ છે. નાણા મંત્રાલયે આજે 1 મેના રોજ કહ્યું છે કે, ‘આજથી દેશભરમાં આ યોજના લાગુ કરી દેવાઈ છે. અગાઉ 700 જિલ્લામાં કાર્યરત 43 આરઆરબી ઘટીને 28 થશે. યોજના અંતર્ગત 11 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોની 26 પ્રાદેશિક ગ્રામીણ બૅંકોને રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકલ આરઆરબીમાં મર્જર કરી દેવાયું છે.
નાણાકીય સેવા વિભાગે (ડીએફએસ) કહ્યું કે, ‘મર્જર બાદ RRB બૅંકોની સંખ્યા 43થી ઘટીને 28 થઈ ગઈ છે. આમ કરવાથી આરઆરબીના નાણાંકીય વ્યવહાર તેમજ પ્રદર્શનમાં સુધારો થશે. ડીએફએસએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, ‘હવે કુલ 28 પ્રાદેશિક ગ્રામીણ બૅંકો હશે, જેમની 700 જિલ્લામાં 22000થી વધુ શાખાઓ હશે.’ બધી સંસ્થાઓની અધિકૃત મૂડી 2,000 કરોડ રૂપિયા હશે.
આંધ્રપ્રદેશમાં ચૈતન્ય ગોદાવરી ગ્રામીણ બેંક, આંધ્ર પ્રગતિ ગ્રામીણ બૅંક અને અન્ય RRBનું વિલીનીકરણ કરીને ‘આંધ્રપ્રદેશ ગ્રામીણ બૅંક’ બનાવવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં બરોડા યુપી બૅંક, આર્યાવર્ત બૅંક, પ્રથમા યુપી ગ્રામીણ બૅંકનું વિલીનીકરણ કરીને ‘ઉત્તર પ્રદેશ ગ્રામીણ બૅંક’ બનાવવામાં આવશે, જેનું મુખ્ય મથક લખનૌમાં હશે.
પશ્ચિમ બંગાળમાં બંગીયા ગ્રામીણ વિકાસ બૅંક, પશ્ચિમ બંગાળ ગ્રામીણ બૅંક અને ઉત્તર બંગાળ RRBને મર્જ કરીને ‘પશ્ચિમ બંગાળ ગ્રામીણ બૅંક’ બનાવવામાં આવશે, જેનું મુખ્ય મથક કોલકાતામાં હશે. ગુજરાત, બિહાર, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાનમાં બે-બે RRBને એકમાં મર્જ કરવામાં આવશે.