NATIONAL

વર્ગખંડમાં વિદ્યાર્થીનું અપમાન તેના માનસ પર ઊંડી અસર કરે છે, શિક્ષકો આવું વર્તન ન કરી શકે : સુપ્રીમ કોર્ટ

એક વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં પ્રોફેસરની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં એક અત્યંત નાટકીય અને મહત્ત્વપૂર્ણ ચર્ચા જોવા મળી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે થતું અપમાન બાળકના માનસ પર ઊંડી અસર છોડે છે અને શિક્ષકો આવું વર્તન ન કરી શકે તેવો કડક સંદેશ સમાજમાં જવો જોઈએ.

કોર્ટમાં પ્રોફેસર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ડીએસ નાયડુએ દલીલ કરી હતી કે વર્ગખંડમાં કથિત રીતે કરવામાં આવેલું અપમાન વિદ્યાર્થીના મૃત્યુના એક મહિના પહેલાં થયું હતું. તેથી, તેને આ દુઃખદ ઘટનાનું તાત્કાલિક કે સીધું કારણ ગણી શકાય નહીં. તેના બદલે, વરિષ્ઠ વકીલે વિદ્યાર્થીના અંતિમ પગલાના બરાબર એક કલાક પહેલાં બનેલી એક ઘટના તરફ કોર્ટનું ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીએ એક ઍપ્લિકેશન(App) પરથી લોન લીધી હતી અને પરવાનગી વગર એક પ્રોફેસરનું નામ ગેરંટર તરીકે વાપર્યું હતું. જેના કારણે લોન રિકવરી એજન્ટો તેમને સતત પરેશાન કરી રહ્યા હતા. વકીલે એવી પણ રજૂઆત કરી કે શિક્ષકો ક્યારેક વિદ્યાર્થીના હિતમાં કડક વલણ અપનાવતા હોય છે અને જો તેના પર ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તો શિસ્ત જાળવવાનો પ્રયાસ કરતા શિક્ષકો પર ‘ખરાબ અસર’ પડશે.

વરિષ્ઠ વકીલની આ દલીલો સામે જસ્ટિસ સંદીપ મહેતાએ અત્યંત ધારદાર ટિપ્પણી કરતાં જણાવ્યું કે, “હવે સમય બદલાઈ ગયો છે. કદાચ આપણા દિવસોમાં વિદ્યાર્થીઓને માર મારવો કે કડક સજા કરવી સામાન્ય બાબત હતી… પરંતુ હવે પરિસ્થિતિઓ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.” તેમણે આગળ ઉમેર્યું કે, જો કોઈ વિદ્યાર્થીને વર્ગખંડમાં તેના જ સહપાઠીઓની સામે અપમાનિત કરવામાં આવે, તો તેના માનસ પર જે ગંભીર અને નકારાત્મક અસર પડે છે તેને બિલકુલ નજરઅંદાજ ન કરી શકાય. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સન્માનની રક્ષા થવી અનિવાર્ય છે.

Back to top button
error: Content is protected !!