GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પીએમ મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનના કેન્દ્રમાં છે કુશળ અને સશક્ત યુવાનો: શ્રી જયંત ચૌધરી

તા.૧૫/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

સ્કિલ ઇન્ડિયા મિશન: આત્મનિર્ભર અને સક્ષમ કાર્યબળ દ્વારા ગુજરાતના વિકાસને મળ્યો વેગ

Rajkot: એક દાયકા પહેલાં, 15 જુલાઈ 2015ના રોજ, ભારત સરકારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્કિલ ઇન્ડિયા મિશનની શરૂઆત કરી હતી. સ્કિલ ઇન્ડિયા મિશન એક એવી પહેલ છે, જેનો ઉદ્દેશ માત્ર નોકરીઓ ઊભી કરવાનો નથી, પરંતુ આત્મનિર્ભરતા, ગૌરવ અને આત્મવિશ્વાસ પર આધારિત ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. સ્કિલ ઇન્ડિયા મિશનની જાહેરાતથી એ સ્પષ્ટ થઈ ગયું કે, હવે ભારતનો યુવા માત્ર ડિગ્રીધારક નહીં રહે, પણ તે પ્રતિભાશાળી બનશે અને પોતાના કૌશલ્યથી દેશના વિકાસમાં પણ યોગદાન આપશે.

આ પહેલ એક સરકારી કાર્યક્રમ તરીકે શરૂ થઈ થઈ હતી, પરંતુ ટૂંક સમયમાં જ તે દેશભરના યુવાનોની આકાંક્ષાઓ અને સંઘર્ષોને પ્રતિબિંબિત કરતું એક શક્તિશાળી જનઆંદોલન બની ગયું. સ્કિલ ઇન્ડિયા મિશને ખાસ કરીને ગુજરાતના યુવાનોને સશક્ત બનાવ્યા છે, જ્યાં તાલીમ કાર્યક્રમો રાજ્યની ઔદ્યોગિક વિશેષતાઓ- જેમ કે કાપડ, હીરા પૉલિશિંગ, સિરામિક્સ અને ઑટોમોબાઈલ્સ વગેરેને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રો (PMKK) અને ITI સંસ્થાઓના માધ્યમથી લાખો યુવાનોને ઉદ્યોગ-સંબંધિત તાલીમ આપવામાં આવી છે, જેનાથી તેમની રોજગાર ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. આ મિશનમાં મહિલાઓની ભાગીદારી અને અંતરિયાળ જિલ્લાઓમાં આદિવાસી યુવાનોના કૌશલ્ય વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આજે ગુજરાતના યુવાનો માત્ર નોકરી માટે તૈયાર નથી, પરંતુ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા સાથે ભારતની આર્થિક પ્રગતિનું નેતૃત્વ કરવા માટે પણ સક્ષમ છે.

સ્કિલ ઇન્ડિયા મિશનની સફર અને તેના વિઝન અંગે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના માનનીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે, “ભારતની સૌથી શક્તિશાળી સંપત્તિ તેના યુવાનો છે. આ તથ્યને ધ્યાનમાં રાખીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશા યુવા ભારતીયોને રાષ્ટ્રની આર્થિક, શૈક્ષણિક અને તકનીકી વિઝનના કેન્દ્રમાં રાખ્યા છે. સ્કિલ ઇન્ડિયા પહેલ હેઠળ, કરોડો યુવાનોને નિર્માણ, આરોગ્યસંભાળ, કૃત્રિમ બુદ્ધિમત્તા (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) અને ઑટોમોટિવ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉદ્યોગ-સંબંધિત કૌશલ્ય પ્રદાન કરવામાં આવ્યું છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “આ પહેલોના કારણે શિક્ષણ અને રોજગાર વચ્ચેનું અંતર અસરકારક રીતે દૂર થયું છે, યુવાનો પ્રેક્ટિકલ અને નોકરી માટે સજ્જ બન્યા છે. જેમ જેમ આપણે 2047 સુધીમાં વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ, તેમ તેમ આ આત્મવિશ્વાસુ અને કુશળ પેઢી તે સ્વપ્નને સાકાર કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવશે. મને વિશ્વાસ છે કે, મંત્રાલયના નિરંતર અને સમર્પિત પ્રયાસો દેશના કૌશલ્ય વિકાસને મજબૂત બનાવવામાં મદદ કરશે.”

આ મિશનને કારણે છેલ્લા 10 વર્ષોમાં ભારતની ટેક્નિકલ શિક્ષણ પ્રણાલીનું પણ એક નવું સ્વરૂપ જોવા મળ્યું છે. દેશભરમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ની સંખ્યા લગભગ 10,000થી વધીને 14,615 સિધી પહોંચી ગઈ છે. પહેલાં ફક્ત 9.5 લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ હતા, હવે આ સંખ્યા 14 લાખને પાર થઈ ગઈ છે. ટેક્નિકલ શિક્ષણ હવે ફક્ત વર્ગખંડ પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્કિલ્સ જેવી સંસ્થાઓ યુવાનોને વૈશ્વિક સ્તરની તાલીમ આપીને નવા શિખરો પર લઈ જઈ રહી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના વિઝનમાં સ્કિલ ઇન્ડિયા મિશન કરોડરજ્જુ તરીકે ઉભરી આવ્યું છે. આ વિઝન હેઠળ વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન ભારતને વિશ્વનું ‘સ્કિલ કૅપિટલ’ બનાવવાનું છે અને છેલ્લા 10 વર્ષની સફર એ દર્શાવે છે કે આપણે તે દિશામાં મજબૂત રીતે આગળ વધી રહ્યા છીએ.

વડાપ્રધાનશ્રીએ દસ વર્ષ પહેલાં જે સ્વપ્ન રજૂ કર્યું હતું તે આજે અનેક યુવાનોના જીવનમાં પરિવર્તનનું માધ્યમ બની છે. 15 જુલાઈ 2025 એ ફક્ત એક તારીખ નથી, પરંતુ કરોડો સપનાંઓના મહેનત, સમર્પણ અને પ્રગતિનો ઉત્સવ છે. આ એક એવી યાત્રા છે જે દરેક નવા કૌશલ્ય અને પ્રતિભા સાથે આગળ ને આગળ વધતી રહેશે. જેમ-જેમ યુવાનો નવી સ્કિલ કેળવશે, તેમ-તેમ આપણે એવા ભારત તરફ આગળ વધશું, જ્યાં વિશેષાધિકાર નહીં, પ્રતિભા ઝળકશે.

Back to top button
error: Content is protected !!