દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત

દેશની શાળા વ્યવસ્થામાં વાલીઓની વધુ સક્રિય ભાગીદારી અને શિક્ષણ વ્યવસ્થાને વધુ જવાબદાર બનાવવા માટે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિના ભાગરૂપે હવે સરકારી, સ્થાનિક સ્વરાજ્ય સંચાલિત તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC)ની રચના ફરજિયાત બનાવવામાં આવશે.
નવી માર્ગદર્શિકા અનુસાર હવે ધોરણ 1 થી 12 સુધી અલગ અલગ સમિતિઓના બદલે એક જ કોમન મેનેજમેન્ટ કમિટી કાર્યરત રહેશે. અગાઉ પ્રાથમિક અને માધ્યમિક વિભાગો માટે અલગ વ્યવસ્થા હતી, પરંતુ હવે સમગ્ર શાળા માટે એકીકૃત સંચાલન મોડલ અપનાવવામાં આવશે.
સમિતિની રચનામાં વાલીઓને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. નવા નિયમ મુજબ સમિતિના મોટા ભાગના સભ્યો વિદ્યાર્થીઓના માતા-પિતા હશે અને અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષ પદ પણ વાલીઓમાંથી પસંદ કરવામાં આવશે. મહિલાઓની ભાગીદારી વધારવા માટે સમિતિમાં ઓછામાં ઓછા 50 ટકા મહિલા સભ્યો ફરજિયાત રાખવામાં આવ્યા છે.
વિદ્યાર્થી સંખ્યાના આધારે સમિતિનું કદ નક્કી કરવામાં આવ્યું છે. 100 સુધીના વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 12થી 15 સભ્યો રહેશે, 100થી 500 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 15થી 20 સભ્યો રહેશે અને 500થી વધુ વિદ્યાર્થીઓ હોય ત્યાં 20થી 25 સભ્યોની સમિતિ રચાશે. આ સમિતિમાં શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ સ્થાન આપવામાં આવશે.
આ સમિતિ માત્ર વહીવટી કામગીરી પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ શાળાના સમગ્ર વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવશે. તેમાં શાળા વિકાસ માટે લાંબા ગાળાનું આયોજન, અભ્યાસ બહાર રહેલા બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાના પ્રયાસો, વિદ્યાર્થીઓના અધિકારોનું રક્ષણ અને શિક્ષણની ગુણવત્તા સુધારવાના નિર્ણયો સામેલ રહેશે. નાણાકીય પારદર્શિતા વધારવા માટે સમિતિનું સંયુક્ત બેંક ખાતું રાખવામાં આવશે અને દર વર્ષે સામાજિક ઓડિટ પણ ફરજિયાત રહેશે. સાથે સાથે શાળામાં મધ્યાહન ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા અને વિદ્યાર્થીઓની સુરક્ષા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.





