NATIONAL

E20 પેટ્રોલ અંગે ગ્રાહક અદાલત દ્વારા દેશમાં પહેલો ઐતિહાસિક નિર્ણય કર્યો !!!

E20 પેટ્રોલ અંગે ગ્રાહક અદાલત દ્વારા દેશમાં આ પ્રકારનો પહેલો અને ઐતિહાસિક નિર્ણય છે, જ્યાં રાયપુર ગ્રાહક ફોરમે એક જાણીતી કાર કંપનીને મોટો ઝટકો આપ્યો છે અને ગ્રાહકને સમાન મોડેલની નવી E20 સુસંગત કાર આપવા અથવા વ્યાજ સાથે 20.50 લાખ રૂપિયાની સંપૂર્ણ રકમ પરત કરવાનો કડક આદેશ જારી કર્યો છે.

દેશમાં E20 ઇંધણ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે છત્તીસગઢની રાયપુર જિલ્લા ગ્રાહક અદાલત (વધારાની બેન્ચ) એ એક જાણીતી કાર કંપની અને તેના સ્થાનિક ડીલર સામે કઠોર ચુકાદો આપ્યો છે. E20 પેટ્રોલ અને એન્જિન ખામી અંગે દેશમાં આ પ્રકારનો પહેલો ચુકાદો છે. કોર્ટે ગ્રાહકની છેતરપિંડી અને નબળી સેવા માટે કંપની અને ડીલર બંનેને જવાબદાર ઠેરવ્યા. ગ્રાહક ફોરમના પ્રમુખ પ્રશાંત કુંડુ અને સભ્ય ડૉ. આનંદ વર્ગીસની બનેલી બેન્ચે આદેશ આપ્યો કે પીડિત ડૉક્ટર ગ્રાહકને E20 પેટ્રોલને સપોર્ટ કરતી સમાન મોડેલની નવી કાર આપવામાં આવે.

અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે જો કંપની અને ડીલર 45 દિવસની અંદર ગ્રાહકને નવી કાર નહીં સોંપે, તો તેમણે ગાડીની મૂળ કિંમત, આરટીઓ (RTO) અને વીમા ખર્ચ સહિત કુલ ₹20,50,494 ની પૂરેપૂરી રકમ પર વાર્ષિક 7% ના દરે વ્યાજ ચૂકવવું પડશે. આ વ્યાજ આદેશની તારીખથી લઈને ચૂકવણીના દિવસ સુધીનું રહેશે. આ ઉપરાંત ગ્રાહકને થયેલી માનસિક હેરાનગતિના વળતર પેટે 1 લાખ અને કોર્ટ કચેરીના ખર્ચ પેટે 10,000 અલગથી ચૂકવવાનો આદેશ પણ કરાયો છે.

આ સમગ્ર મામલો રાયપુરના જાણીતા કિડની રોગ નિષ્ણાત ડૉ. પ્રેમરાજ દેવતા સાથે જોડાયેલો છે. તેમણે જૂન 2024 માં આ કાર ખરીદી હતી, પરંતુ ગાડી લેતાની સાથે જ તેનું એન્જિન વારંવાર બંધ થવા લાગ્યું હતું. જ્યારે તેઓ સર્વિસ સેન્ટર પહોંચ્યા ત્યારે કંપનીએ તેને મફતમાં રિપેર કરવાનો ઇનકાર કરી દીધો અને ₹5.30 લાખનું મોટું એસ્ટીમેટ પધરાવી દીધું. કંપનીએ એવો તર્ક આપ્યો હતો કે પેટ્રોલમાં ઇથેનોલની ભેળસેળના કારણે એન્જિન ખરાબ થયું છે, તેથી તે વોરંટીના દાયરામાં આવતું નથી.

Back to top button
error: Content is protected !!