NATIONAL

સરકાર 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલની ખરીદીને લઈને એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે.

ઇન્ડેન, ભારત ગેસ અને એચપી ગેસના ગ્રાહકો માટે 1 જુલાઈથી એલપીજી સિલિન્ડરના નિયમો બદલાવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારના નવા આદેશ મુજબ, જો તમે કેટલીક બાબતોનું ધ્યાન નહીં રાખો તો તમારું ગેસ કનેક્શન કપાઈ શકે છે અથવા સિલિન્ડર બુકિંગમાં મુશ્કેલી આવી શકે છે. આ સાથે જ સરકાર 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલની ખરીદીને લઈને પણ એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે. સરકારે વ્યક્તિદીઠ અને વાહનદીઠ પેટ્રોલ-ડીઝલના વેચાણ પર લાદવામાં આવેલી 200 લીટરની મહત્તમ મર્યાદાને હટાવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે, જે નિયમ 1 જુલાઈથી અમલી બનશે.

નવા નિયમ અનુસાર, જે વિસ્તારોમાં પાઈપલાઈન (PNG) દ્વારા ગેસ સુવિધા ઉપલબ્ધ છે, ત્યાંના ગ્રાહકોએ PNGમાં ટ્રાન્સફર થવું પડશે. જો તમારી પાસે પહેલેથી જ PNG કનેક્શન છે, તો તમારું LPG કનેક્શન 1 મહિનાની અંદર કાપી દેવામાં આવશે. જો તમે જાતે કનેક્શન સરેન્ડર કરશો, તો તમને એક કૂપન મળશે જેનાથી ભવિષ્યમાં જરૂર પડ્યે કનેક્શન ફરી એક્ટિવ કરી શકાશે. આ માટે સરકારે આપેલી 3 મહિનાની સમયસીમા જૂનના અંતમાં પૂરી થઈ રહી છે.

તમામ ગેસ ગ્રાહકો માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે, જેની છેલ્લી તારીખ 30 જૂન છે. જો તમે આ પ્રક્રિયા પૂરી નહીં કરો, તો તમારું કનેક્શન બ્લોક થઈ શકે છે અને આગામી સિલિન્ડરનું બુકિંગ અટકી જશે. જે લોકોએ આ કામ પૂરું કરી લીધું છે, તેમણે કશું કરવાની જરૂર નથી.

સરકારે 12 જૂનના રોજ એક આદેશ જાહેર કરીને રિટેલ પેટ્રોલ પંપ પરથી થતા પેટ્રોલ અને ડીઝલના વેચાણને મર્યાદિત કરી દીધું હતું. આ નિયમ હેઠળ કોઈપણ એક વાહન માટે એક દિવસમાં પેટ્રોલ કે ડીઝલની ખરીદી માત્ર 200 લીટર સુધી જ સીમિત રાખવામાં આવી હતી. આ વ્યવસ્થા લાગુ થયા બાદ મોટા વાહન માલિકોને પોતાની જરૂરિયાત મુજબ ઇંધણ ભરાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

સરકારે આ પગલું અચાનક નહોતું લીધું, પરંતુ તેની પાછળ એક મજબૂત વ્યાપારિક કારણ હતું. આ પ્રતિબંધ મુખ્યત્વે જથ્થાબંધ ખરીદદારો (Bulk Purchasers) ને રિટેલ આઉટલેટ્સનો ઉપયોગ કરતા રોકવા માટે લગાવવામાં આવ્યો હતો. વાસ્તવમાં, મોટી માત્રામાં તેલ ખરીદતા ગ્રાહકો જ્યારે રિટેલ પંપ તરફ વળવા લાગ્યા, ત્યારે સામાન્ય ગ્રાહકો માટે ઇંધણની ઉપલબ્ધતા પ્રભાવિત થવાની આશંકા વધી ગઈ હતી. આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે જ 200 લીટરની કેપિંગ કરવામાં આવી હતી.

હાલમાં નવું સિલિન્ડર બુક કરાવવા માટે શહેરોમાં 25 દિવસ અને ગામડાઓમાં 45 દિવસની રાહ જોવી પડે છે. પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થતાં સરકારે કોમર્શિયલ ગેસના પ્રતિબંધો હટાવી લીધા છે, જેથી 1 જુલાઈથી ઘરગથ્થુ ગેસના ફરીથી બુકિંગ કરવાના દિવસોનો આ સમયગાળો પણ ઘટે તેવી પૂરી શક્યતા છે. જો કે, આ અંગે હજુ સત્તાવાર જાહેરાત બાકી છે.

બીજી તરફ, બજારની સ્થિતિને જોતા સરકારે પેટ્રોલ-ડીઝલ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે. 1 જુલાઈથી પેટ્રોલ પંપો પર 200 લીટરની આ મર્યાદા સંપૂર્ણપણે હટાવી લેવામાં આવશે. આ નિર્ણય બાદ ગ્રાહકો હવે પોતાની જરૂરિયાત મુજબ ઇંધણ ખરીદી શકશે. સરકારના આ પગલાથી એવા ટ્રાન્સપોર્ટર્સ અને મોટા વાહનોના માલિકોને સૌથી વધુ રાહત મળશે, જેમને લાંબુ અંતર કાપવા માટે એકસાથે વધુ ઇંધણની જરૂર પડે છે.

Back to top button
error: Content is protected !!