જન સુખાકારી સાથે પર્યાવરણની જાળવણી , સાગબારાના જાવલી ખાતે જન કલ્યાણ શિબિર અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો,

જન સુખાકારી સાથે પર્યાવરણની જાળવણી , સાગબારાના જાવલી ખાતે જન કલ્યાણ શિબિર અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો,

વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
સાગબારા તાલુકાની માધ્યમિક શાળા જાવલી ખાતે ભવ્ય જન કલ્યાણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંદેશ સાથે શાળા પટાંગણમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવો, સરકારી કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનોએ વૃક્ષો વાવીને પર્યાવરણ જાળવણી માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ડૉ. દયારામ વસાવા (ચેરમેન, જાહેર આરોગ્ય સમિતિ, નર્મદા જિલ્લા પંચાયત), ગિરધનભાઈ વસાવા (સદસ્ય, ખોપી જિલ્લા પંચાયત), જગદીશભાઈ વસાવા (પ્રમુખ, સાગબારા તાલુકા પંચાયત), કોલવાણ તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચ, વિવિધ વિભાગોના સરકારી કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
શિબિર દરમિયાન નાગરિકોને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ વધુમાં વધુ વૃક્ષો વાવીને હવા અને વાતાવરણને શુદ્ધ રાખવા માટે સૌને પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમ દ્વારા જનકલ્યાણ અને પર્યાવરણ સંરક્ષણનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.




