આંકલાવ હાઈસ્કૂલમાં માનવ સાંકળ રચી મતદાનના શપથ લેવડાવવામાં આવ્યા
તાહિર મેમણ : 09/04/2024- આણંદ : લોકશાહીનો અવસર સમા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે લોકોમાં “ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ”ની અનૂભુતિ થાય તે માટે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તેવા જનજાગૃતિના પ્રયાસો થઈ રહ્યા છે .
જનજાગૃતિના ભાગરૂપે મતદાતા પોતાના મતનું મહત્વ સમજે તે હેતુથી આંકલાવ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા માનવ આકૃતિના નિર્માણ દ્વારા જાહેર જનતાને મત આપવા માટે પ્રેરિત કરતો સંદેશ આપ્યો હતો.
મતદાન જાગૃત્તિના પ્રયાસના ભાગ રૂપે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી હતી. વિદ્યાર્થીઓ દ્વારા “ PLEASE VOTE ‘’ની અપીલ કરતો સંદેશ પણ માનવ સાંકળ થકી આપવામાં આવ્યો હતો. આ તકે હાઈસ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મતદાન પ્રવૃત્તિના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બન્યા હતા.આ તકે વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો તેમજ આચાર્ય સૌએ સાથે મળીને મતદાન કરવાના શપથ પણ લીધા હતા.