મતદાન જાગૃતી અન્વયે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનો પ્રેરણાસભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ દ્નારા લોકશાહીની પરંપરાને આગળ વધારવાનો અનન્ય પ્રયાસ આપણા માટે પ્રેરણાસભર – જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાના
***
ભરૂચ – શુક્રવાર – લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકોની ભાગીદારિતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી, ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેંદ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે આજરોજ કલેક્ટર કચેરીના વીસીરૂમ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતી અન્વયે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનો પ્રેરણાસભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમ્યાન તમામ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓએ ૧૦૦ ટકા મતદાન કરવાની શપથ લીધી હતી. જિલ્લા વાસીઓને અનુરોધ કરતા જણાવ્યુ હતું કે, અમે વિધાનસભાની ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાન કર્યું હતું. હાલની લોકસભા-૨૦૨૪ની ચૂંટણીમાં પણ અમે ૧૦૦ ટકા મતદાન કરી ચૂંટણીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવીશું ત્યારે જિલ્લાના નાગરિકોને લોકશાહીનાં મહાપર્વમાં મત આપવા અપિલ કરી હતી.
આ તબક્કે, જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ કિન્નર સમાજની પ્રેરણાસભર કામગીરીને બિરદાવી હતી. સામાન્ય મતદારોને મતના અધિકાર વિશે સમજાવી મતદાન જાગૃતીમાં યોગદાન આપી ભગીરથ કામ કર્યું છે. લોકશાહીની પરંપરાને આગળ વધારવાના આ અનન્ય પ્રયાસ આપણા માટે પ્રેરણાસભર બન્યો છે. ત્યારે આગામી તા.૦૭મી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે નાગરિકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને લોકશાહીની પ્રક્રિયામાં મતદાન કરી પોતાની સામેલગીરી નોંધાવે તે માટે તેમણે પણ અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સુપ્રિયા ગાંગૂલી, સ્વિપ કાર્યક્રમના નોડલ, અસ્મિતા વિકાસ કેંદ્ર ત્રાલસા ટ્રસ્ટી અને કર્મચારીઓ, અને મોટી સંખ્યામાં ટ્રાન્સજેન્ડર ઉપસ્થિત રહ્યા છે.