
GMERS કોલેજ દ્વારા MBBS ના અભ્યાસમાં કરાયેલ ફી વધારો પાછો ખેંચવા નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસની માંગ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના વડુ મથક રાજપીપળા ખાતે આવેલી GMERS મેડિકલ કોલેજમાં ફી વધારો કરાતા એન.એસ.યુ.આઇ ના હોદ્દેદારો તેમજ નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનોએ કોલેજના ડીનને આવેદન પત્ર આપી ફી વધારો પાછો ખેંચવા રજૂઆત કરી છે
નર્મદા જિલ્લા NAUI પ્રમુખ તેજસભાઈ તડવી,નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલભાઈ પટેલ સહિતનાઓ એ આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના વિધાર્થીઓને ઉંચી ફી ચૂકવી અભ્યાસ અર્થે રાજ્ય બહાર જવું ના પડે તે હેતુથી સરકારે સાલ ૨૦૧૦ માં અંદાજે ૮,૫૦૦ કરોડના કેપીટલ ખર્ચે ૧૩ જિલ્લામાં MBBS તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે GMERS મેડિકલ કોલેજ શરૂ કરી હતી. પરંતુ ગત તારીખ ૨૮ મી જૂને રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલીત 13 મેડિકલ કોલેજની ફી માં રાતો રાત વધારો કરી દીધો હતો. આ એ બાબત દર્શાવે છે કે શિક્ષણની મોટી મોટી વાતો કરતી વર્તમાન સરકારને વિધાર્થીના ભવિષ્યની કોઈ પણ જાતની ચિંતા નથી. આ ફી વધારામાં GMERS મેડિકલ કોલેજના સરકારી કોટાની વાર્ષીક ફીસ ૩.૩૦ લાખથી વધારી ૫.૫૦ લાખ કરી, જ્યારે મેનેજમેન્ટ કોટાની વાર્ષીક ફી ૯.૭૫ લાખથી વધારી ૧૭ લાખ કરી છે તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષીક ફી ૨૨ હજાર યુ.એસ.ડોલરથી વધારી ૨૫ હજાર ડોલર જેટલો તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો છે.
આ સંદર્ભે સરકારના પ્રતિનિધિ દ્વારા એવા જવાબ આપવામાં આવે છે કે ગયા વર્ષે GMERS સંચાલિત ૧૩ મેડિકલ કોલેજો તથા સંલગ્ન ૧૪હોસ્પિટલો ચલાવવાનો વાર્ષિક ખર્ચ આશરે ૧૧૬૮ કરોડ થયો હતો., જેની સાથે GMERS મેડિકલ કોલેજ માં આવક ૪૨૩.૭૪ કરોડ થઈ હતી જેથી સરકાર ને નુકશાન થાય છે તેમ લાગી રહ્યું છે. જેના લીધે આ નુકશાન ની ભરપાઈ કરવા માટે વિધાર્થીઓ પાસેથી ફી વધારો કરી નુકશાન ભરપાઈ કરવા માગે છે. અમારા મતે આ નુકશાન નહીં, પરંતુ ભવિષ્યની પેઢીનું નિર્માણ છે. આ ફી વધારો એટલો બધો છે કે આનાથી ઓછી ફી માં પાડોશી રાજ્યમાં સમગ્ર MBBSનો અભ્યાસ થઈ શકે.
એક તરફ ચાલુ વર્ષ દરમિયાન NEET પરીક્ષામાં થયેલ ગેરરીતિઓને કારણે જે કટ ઓફ ઘણું ઊંચું ગયું છે એનો ન્યાય હજુ સુધી વિધ્યાર્થીઓને મળ્યો નથી ત્યાં આ ફી વધારો જખમ પર નમક નું કામ કરે છે. એક તો આજના સમય પ્રમાણે ડોક્ટોરી ની માંગ વધી છે ત્યારે સરકાર સરકારી સીટ વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે ડૉકટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી પરંતુ અમીરો માટે છે. કોંગ્રેસ દ્વારા ફી વધારો રદ કરવા માંગ કરાઈ છે




