Rajkot: દિવેલાના પાકમાં વાવણી સમયે રોગ-જીવાતના નિયંત્રણ માટે ધ્યાનમાં લેવાના પગલાં

તા.૨૪/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ખેડૂતો સિઝન પ્રમાણે પોતાના ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરે છે. ત્યારે તેમાં સમયાંતરે પાકમાં જુદા-જુદા ખેતી કાર્યો કરવાના હોય છે. ખેડૂતોએ પાકમાં જ્યારે રોગ-જીવાતનો ઉપદ્રવ થયો હોય છે ત્યારે તેના નિયંત્રણ માટે જુદા-જુદા પગલા લેવા જરૂરી બને છે.
જેમાં, ચુસીયા અને ચાવીને ખાનારી એમ બે પ્રકારની જીવાતોનું નિયંત્રણ માટે વિવિધ પ્રકારની દવાઓ આવે છે. ચુસિયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કરવા તેમાં જીવાતોની હાજરી જાણવા માટે વાવણી બાદ એક મહિને પીળા ચીકણા પિંજર ૧૦ પ્રતિ હેક્ટરે લગાવવા.
ચુસિયા પ્રકારની જીવાતોના ઉપદ્રવ સમયે લીંબોળીનું તેલ ૫૦ મી.લી. અથવા એઝાડિરેક્ટીન યુક્ત૧૫૦૦ પીપીએમ દવા ૫૦ મી.લી. સાથે ૧૦૦ મી.લી તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ પ્રતિ ૧૦ લીટર પાણી સાથે ઉમેરી છંટકાવ કરવો. ચુસીયા પ્રકારની જીવાતોના જૈવિક નિયંત્રણ માટે લેકાનીસીલીયમ લિકાની અથવા બોવેરીયા બેસિયાના ફુગનાશક પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ઉમેરી ઉપદ્રવ સમયે છંટકાવ કરવો.
તડતળીયા અને થીપ્સ તેમજ પાન કોરિયાના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવાઓ જેવી કે ઈમીડાક્લોપ્રિડ ૧૭.૮ એસએલ ૪ મી.લી. અથવા ફિપ્રોનીલ ૫ ટકા એસસી ૪ મી.લી. અથવા થાયોમેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા પ્રોફેનોફોસ અથવા સાયપરમેથ્રિન ૪૪ ઇસી ૧૦ મિ.લિ. અથવા ડિનોટેફ્યુરાન ૨૦ એસજી ૪ ગ્રામ અથવા ફ્લોનીકામાઇડ ૫૦ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા સાયટ્રાનીલીપોલ ૧૦ ઓડી ૧૦ મિલિ ૧૦ લીટર પ્રમાણે છંટકાવ કરવો.
ચાવીને ખાનારી જીવાતોનું નિયંત્રણ કરવા માટે કાતરા અને સ્પોડોપ્ટેરાના ઈંડાં અનુક્રમે શેઢા-પાળા ઉપર ઉગેલ ઘાસ અને દિવેલાના પાન પર જથ્થામાં મુકાતા હોય છે. આથી ઈંડાના સમૂહ તેમજ પ્રથમ અવસ્થાની ઈયળોના સમૂહ સાથે પાંદડાને વીણી લઈને નાશ કરવો. મોટા કદની ઘોડીયા ઈયળો અને લશ્કરી ઈયળોને શક્ય હોય ત્યાં સુધી હાથથી વીણી લઈ નાશ કરવો.
ખેતરમા દિવેલાની ઘોડીયા ઈયળની કૂદીઓની હાજરી જણાતા ટ્રાયકોગામા નામની ભમરીઓ દર અઠવાડીયે એક લાખ પ્રમાણે હેકટર દીઠ છોડવાથી સારુ પરિણામ મળે છે.
ઘોડિયા ઈયળના ફૂદાં આકર્શી નાશ કરવા પ્રકાશપિંજર રાત્રી સમયે ગોઠવવા.ઘોડિયા ઇયળની નર ફુદીઓને આકર્ષવા માટે ફેરોમોન ટ્રેપ ૮-૧૦ પ્રતિ હેક્ટરે વાવણી બાદ ખેતરમાં ગોઠવવા તથા તેની ટોટી (લ્યુર/સેપ્ટા) ૧૫ થી ૨૦ દિવસનાં અંતરે બદલતા રહેવું. ઘોડીયા ઇયળો જોવા મળે ત્યારે બેસીલસ થુરેન્જીનેસીસ રોગપ્રેરક જીવાણુંનો પાવડર ૩૦ ગ્રામ/૧૦ લીટર પાણી સાથે સાંજના સમયે છંટકાવ કરવો.
દિવેલાની ઘોડીયા ઈયળનું પ્રમાણ વધારે હોય કીટકભક્ષી પક્ષીઓ જેવા કે મેના, વઈયા, કાળીયોકોશી વગેરે પક્ષીઓને આકર્ષવા લાકડાના ૮ થી ૧૦ ફૂટ લાંબા ૩૦ થી ૪૦ બેલાખડા પ્રતિ હેકટરે મુકવા. દિવેલાના પાકમાં ઘોડીયા ઈયળ તથા પાન ખાનારી ઈયળ (સ્પોડોપ્ટેરા)ના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મી.લી. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસ.સી. ૫ મી.લી. અથવા સ્પીનોસાડ ૪૫ એસ.સી. ૨ મી.લી. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબ્લ્યુ.જી. ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મેળવીને છંટકાવ કરવો.
પાન ખાનાર ઈયળની નર ફુદીઓને આકર્ષવા માટે ફેરોમોન ટ્રેપ ૮-૧૦ પ્રતિ હેક્ટરે વાવણી બાદ ખેતરમાં ગોઠવવા. એન.પી.વી. વાયરસગ્રસ્ત ૨૫૦ ઇયળ એકમ દ્રાવણ/૭૦૦ લીટર પાણીમાં હેક્ટર વિસ્તારમાં છાંટવાથી પાન ખાનાર ઈયળોમાં રોગ લાગુ પડતા સારૂ નિયંત્રણ મળે છે.
પાન ખાનાર ઈયળ તેમજ ડોડવા કોરી ખાનારી ઇયળનો ઉપદ્રવ વધુ જણાય તો ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મી.લી. અથવા એમામેક્ટીન બૅઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મી.લી. અથવા ફલ્યુબેન્ડાલમાઈડ ૩૯.૩૫ ટકા ૨ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ઉમેરી ૧૫ દીવસનાં અંતરે જરૂરીયાત મુજબ છંટકાવ કરવો.
પાન કોરિયુ જીવાતના નિયંત્રણ માટે ક્વીનાલફોસ ૨૦ મી.લી. અથવા પ્રોફેનોફોસ ૧૦ મીલી દવા ૨૦૦ ગ્રામ જુના ગોળને ૧૦ લીટર પાણીમાં મેળવીને બનાવેલ વિષ પ્રલોભીકા છોડ પર મોટા ફોરે છાંટવુ.
વધુમાં, દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવું જરૂરી છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવો તેમ, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, રાજકોટની યાદીમાં જણાવવામા આવ્યું છે.



