Jasdan: જસદણમાં સ્વચ્છતાની અપીલ સાથે વિદ્યાર્થિનીઓ દ્વારા યોજાઈ જાગૃતિ રેલી

તા.૧૮/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
જસદણમાં રાત્રિ સફાઈ ઝુંબેશ પણ શરૂઃ કચરાના ઢગલાના નિકાલની કામગીરી વેગવાન
Rajkot, Jasdan: દેશને સ્વચ્છ અને હરીયાળો બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્વચ્છતા હી સેવા’ તેમજ ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન શરૂ કરાવ્યા છે. આ સાથે દેશભરમાં વિવિધ સ્થળોએ ‘સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા’ના ધ્યેય સાથે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે.
રાજકોટ જિલ્લાના જસદણ નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર રાજુભાઈ સી. શેખની સૂચના મુજબ, રાત્રિ સફાઈ દરમિયાન વિવિધ સ્થળોએ સઘન સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. આ સાથે આજે જસદણમાં વિદ્યાર્થિનીઓ તેમજ સફાઈ કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.
જસદણના કન્યા વિનય મંદિરથી શરૂ થયેલી આ રેલી વિવિધ વિસ્તારોમાં ફરીને નગર પાલિકા કચેરીએ વિરામ પામી હતી. રેલી દરમિયાન વિવિધ પોસ્ટર્સ – બેનર્સ સાથે નાગરિકોને સ્વચ્છતાના સંસ્કાર દ્રઢ બનાવવા અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત ‘‘સ્વચ્છાગ્રહી બનીએ, કચરાનું યોગ્ય વર્ગીકરણ કરીએ’’, ‘‘સહિયારા પ્રયાસોથી ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવીએ’’ વગેરે સૂત્રોથી નાગરિકોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ, સફાઈ કર્મચારીઓ, નગરપાલિકાના સ્ટાફ સહિતના લોકો જોડાયા હતા.







