GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ માર્કેટિંગ યાર્ડ બેડી ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો

તા.૬/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

લાભાર્થીઓને ખેત ઓજાર ખરીદીના પેમેન્ટ હૂકમ વિતરણ કરાયા

ખેડૂતો અને ખેતીના વિકાસ માટે સરકાર કટિબદ્ધ : ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા

કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો અને ખેડૂતોની મહેનતથી ગુજરાત ખેતી ક્ષેત્રે અગ્રેસર: ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ

Rajkot: માર્કેટિંગ યાર્ડ, બેડી ખાતે રાજકોટ તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાના અધ્યક્ષ સ્થાને તેમજ ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ અને જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશી સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમા ખેતીલક્ષી વિવિધ યોજનાઓના ખેડૂત લાભાર્થીઓને ખેત સાધન ખરીદી માટે રૂ.૪ લાખથી વધુ રકમની સહાયના પેમેન્ટ હૂકમ અપાયા હતા.

આ તકે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ જણાવ્યુ હતુ કે, રાજ્યના ખેડૂતોને ખેત પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે, ઓછા ખર્ચે વધુ ખેત ઉત્પાદન થાય તેવા વિવિધ હેતુથી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમા રાજ્યના ખેડૂતો અને ખેતીના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે.

ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાએ વધુમાં જણાવ્યું હતું કે, ટેકાના ભાવે ઉત્પાદનોની ખરીદી, ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતરો, જંતુનાશક દવાઓ પુરી પાડવાની વ્યવસ્થા, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કોલ્ડ સ્ટોરેજ, મધમાખી ઉછેર કેન્દ્ર, આઈ ખેડૂત પોર્ટલ, પર ડ્રોપ મોર ક્રોપ, ખેત ઓજાર ખરીદી માટે સહાય સહિત ખેડૂત કલ્યાણકારી યોજનાઓ દ્રારા રાજ્યના ખેડૂતો અને ખેતીને સમૃદ્ધ બનાવવામા આવી છે.

ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહે કાર્યક્રમમાં ઉપસ્થિત અન્નદાતાઓને સંબોધીને જણાવ્યું હતું કે, આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. દેશની અર્થવ્યવસ્થા કૃષિ આધારિત છે. ખેડૂતો દેશની ઈમારતનો પાયો છે. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના ખેડૂતો અને ખેતીને સમૃદ્ધ બનાવવા સરકાર કાર્યરત છે. વર્ષ ૨૦૪૭ સુધીમા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ખેડૂત અને આધુનિક ખેતીનુ વધુ યોગદાન મળે, ખેડૂતો આર્થિક રીતે વધુને વધુ સધ્ધર બને, ઓછા ખર્ચે મબલખ ઉત્પાદન મેળવી શકાય તે માટે સરકાર દ્રારા કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો અને ખેડૂતોની મહેનતથી ગુજરાત ખેતીના ક્ષેત્રે આજે અગ્રેસર બન્યું છે.

જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને અપીલ કરવાની સાથે ખેતલક્ષી વિવિધ યોજનાઓની સહાય લેવા જણાવી શહેરોમા પ્રાકૃતિક ખેત પેદાશોની ખૂબ જ માંગ છે અને ઉત્પાદનના ભાવ પણ પૂરતા મળી રહે છે માટે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તેવી અપીલ કરી હતી.

માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરાએ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી, ખોરાકમાં ધાન્ય પાકોનો ઉપયોગ અને વાવેતર, પ્રાકૃતિક કૃષિ, આઇ ખેડુત પોર્ટલ વિશે વાત કરી હતી.

જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તૃપ્તિબેન પટેલે સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા આપવાની સાથે ખેડૂત કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.

તમામ મહાનુભાવોએ લાભાર્થી ખેડૂતોને પાવર ટીલર, થ્રેશર, સબમર્સીબલ પંપ, રોટાવેટર સહિત ઓજારોની ખરીદીના પેમેન્ટ હુકમ વિતરણ કરાયા હતા.

ઉપરાંત કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પ્રી-સિઝન ફાર્મિંગ અને ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન પર વક્તવ્ય અપાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિતોએ બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલને લાઈવ કાર્યક્રમ દ્વારા સાંભળ્યા હતા.

આ તકે કૃષિ પ્રદર્શન યોજાયુ હતુ. જેમા ખેતીવાડી, આત્મા, બાગાયતના પાક વિષયક માહિતીના સ્ટોલ, આંગણવાડી બહેનો દ્વારા તૈયાર કરેલી વિવિધ વાનગી પ્રદર્શન, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ પાકોમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ, ગુજરાત રાજ્ય બીજ નિગમ, પશુપાલન, શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ દ્વારા ઉત્પાદિત સેન્દ્રીય ખાતરોનું પ્રદર્શન, ઉપરાંત અન્ય કંપનીના ખાતર, ટ્રેક્ટર સહિત ખેત ઓજારોના પ્રદર્શને ખેડૂતોમાં આકર્ષણ જમાવ્યું હતું.

કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરશ્રી સખીયા જીતુભાઈ, રાજુભાઈ થાવરીયા, હંસરાજભાઈ લિંબાસીયા, ભરતભાઈ ડાભી સહિત અગ્રણીઓ, અધિકારીઓ કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!