નવસારી જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી તરફ વળવા રસ દાખવ્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
નવસારી જિલ્લામાં ‘રવિ કૃષિ મહોત્સવ–૨૦૨૪’ દરમિયાન કુલ ૨૪૨૮ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી તરફ વળવા રસ દાખવ્યો છે.
આત્મા પ્રોજેક્ટ હેઠળ ચાલતી ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રવૃતિનો વધુમાં વધુ પ્રચાર થાય તે અર્થે જિલ્લામાં બનેલા મોડેલ ર્ફામની વિગત, જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પેદાશના વેચાણ કેન્દ્રની વિગત વગેરેની માહિતી આ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ દરમિયાન આપવામાં આવી હતી. આ સાથે જ ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આત્મા યોજના અંતર્ગત ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ વિષયો આધારિત બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડમાં કુલ ૧૧ ખેડૂતોને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યા હતા. તાલુકા કક્ષાએ સમાપન થયેલા રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગેનો લાઇવ સ્ટોલ તથા પ્રાકૃતિક પેદાશોના વેચાણ અંગેના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ માં પ્રથમ દિવસે ૪૩૯ ભાઇઓ અને બહેનો ૭૭૫ કુલ ૧૨૧૪ તથા બીજા દિવસે ૩૯૭ ભાઇઓ અને બહેનો ૮૧૭ કુલ ૧૨૧૪ આમ બંને દિવસ દરમિયાન આત્મા પ્રોજેક્ટ થકી કુલ ૨૪૨૮ ખેડૂતોએ ભાગ લીધો હતો. તેમજ તાલુકા કક્ષાએ આવેલા પ્રાકૃતિક મોડલ ફાર્મની તમામ ખેડૂતો દ્વારા મુલાકાત કરવામાં આવી હતી.




