Dhoraji: “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” ધોરાજીના પાટણવાવ ગામે જનકલ્યાણ શિબિર યોજાઇ : સ્થળ પર જ ૧૪૦ જેટલા પાત્રતા ધરાવતા નાગરિકોને વિવિધ યોજનાઓનો સીધો લાભ અપાયો

તા.૧૬/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લામાં “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” અભિગમ સાથે વિવિધ જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી છેવાડાના નાગરિકો સુધી પહોંચે અને પાત્રતા ધરાવતા નાગરિકોને તેનો લાભ ઘરઆંગણે મળી રહે તેવા હેતુથી આ શિબિરો યોજાઈ રહી છે.

જે અંતર્ગત ધોરાજી તાલુકામાં મોટી મારડ જિલ્લા પંચાયત બેઠક માટે પાટણવાવ ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. જેમાં લોકાભિમુખ અભિગમ સાથે સ્થળ પર જ વહીવટી પ્રક્રિયા હાથ ધરીને ૧૪૦ જેટલા પાત્રતા ધરાવતા નાગરિકોને વિવિધ યોજનાઓનો સીધો લાભ સ્થળ પર જ અપાયો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો અને અધિકારીઓએ ગ્રામજનોને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ શિબિરમાં ધોરાજી-ઉપલેટા મતદાર વિભાગના ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલીયા, સ્થાનિક પદાધિકારીશ્રીઓ તેમજ સંલગ્ન વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ જનકલ્યાણ શિબિરમાં કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ ૧૫ જેટલી યોજનાઓ અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકો પાસેથી સ્થળ પર જ નવી અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે અને ગ્રામજનોને જરૂરી વહીવટી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.




