NATIONAL

SCની કેન્દ્રને નોટિસ, સુનાવણી સુધી મંદિર-મસ્જિદથી જોડાયેલ નવી અરજી દાખલ નહીં થાય

સુપ્રીમ કોર્ટમાં બુધવારે પૂજા સ્થળ અધિનિયમ, 1991 વિરૂદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી શરૂ થઈ. આ દરમિયાન ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ સ્પષ્ટતા કરી કે, આ મામલે આગામી સુનાવણી સુધી મંદિર-મસ્જિદથી જોડાયેલા કોઈપણ નવા કેસને દાખલ કરવામાં નહીં આવે. અમે સ્પષ્ટતા કરી દેવા ઈચ્છીએ છીએ કે, આગામી સુનાવણી સુધી કોઈ નવી અરજી દાખલ નહીં થઈ શકે. અમે તમામ પક્ષકારોને કહીએ છીએ કે, તમે તમારા તર્ક તૈયાર રાખો, જેથી કેસને ઝડપથી ઉકેલી શકાય.

નોંધનીય છે કે, પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ 1991ને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની સ્પેશિયલ બેન્ચ આ કેસની સુનાવણી કરે છે.

પૂજા સ્થળ અધિનિયમ, 1991, ધાર્મિક સ્થળોની સ્થિતિને 15 ઓગસ્ટ 1947ના આધારે સુરક્ષા આપે છે અને તેમાં ફેરફાર કરવા પર રોક લગાવે છે. જો કે, આ કાયદામાં અયોધ્યાના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને બહાર રખાયો હતો. બીજી તરફ, સુપ્રીમ કોર્ટે કેસની આગામી સુનાવણી માટે તારીખ નક્કી કરી છે અને ત્યા સુધી સ્થિતિને યથાવત્ રાખવાના નિર્દેશ આપ્યા છે.

ભાજપ નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે જનહિત અરજી કરીને માગ કરી છે કે, પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટને નાબૂદ કરવો જોઈએ, જેથી ઈતિહાસની ભૂલોને સુધારવામાં આવે અને ભૂતકાળમાં ઈસ્લામી શાસકો દ્વારા અન્ય ધર્મોના જે-જે પૂજા સ્થળો અને તીર્થ સ્થળોનો વિનાશ કરીને તેમની પર ઈસ્લામિક માળખા બનાવાયા, તે પાછું તેમને સોંપવામાં આવે, જે તેમના અસલી હકદાર છે.

આ અરજીમાં કહેવાયું છે કે, પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ 1991ની જોગવાઈ મનસ્વી અને ગેરબંધારણીય છે. આ જોગવાઈની અનુચ્છેદ 14, 15, 21, 25, 26 અને 29નુ ઉલ્લંઘન કરે છે. બંધારણના સમાનતાનો અધિકાર, જીવનનો અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકારમાં પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ 1991માં હસ્તક્ષેપ કરે છે.

આ ઉપરાંત તેમાં દાવો કરાયો છે કે, કેન્દ્ર સરકારે પોતાના અધિકારથી બહાર જઈને આ કાયદો બનાવ્યો છે. પૂજા પાઠ અને ધાર્મિક વિષય રાજ્યનો વિષય છે અને કેન્દ્ર સરકારે આ મામલે મનસ્વી કાયદો બનાવ્યો છે. ભારતમાં મુસ્લિમ શાસન ઈસ. 1192માં સ્થાપિત થયું, જ્યારે મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને પરાજિત કરી દીધા હતા ત્યારથી 1947 સુધી ભારત પર વિદેશી શાસન જ રહ્યું. તેથી જો ધાર્મિક સ્થળના ચરિત્રને અકબંધ રાખવાની કોઈ કટ ઓફ ડેટ નક્કી કરવાની હોય, તો તે ઈસ. 1192ની હોવી જોઈએ. ત્યાર પછી હજારો મંદિરો અને હિંદુઓ, બૌદ્ધો અને જૈનોના તીર્થસ્થળોનો વિનાશ થતો રહ્યો અને મુસ્લિમ શાસકોએ તેમને નુકસાન પહોંચાડ્યું અને તેનો વિનાશ કરીને તેને મસ્જિદોમાં બદલી દીધું.

દેશની તત્કાલીન નરસિમ્હા રાવ સરકારે 1991માં પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ એટલે કે ઉપાસના સ્થળ કાયદો બનાવ્યો હતો. આ કાયદો લાવવાનો અર્થ અયોધ્યા રામ જન્મભૂમિ આંદોલનની વધતી તીવ્રતા અને ઉગ્રતાને શાંત કરવાનો હતો. સરકારે કાયદામાં એ જોગવાઈ કરી દીધી કે અયોધ્યાની બાબરી મસ્જિદ સિવાય દેશની કોઈ પણ અન્ય જગ્યા પર કોઈ પણ પૂજા સ્થળ પર બીજા ધર્મના લોકોના દાવાને સ્વીકાર કરવામાં આવશે નહીં. તેમાં કહેવાયું છે કે દેશની આઝાદીના દિવસે એટલે કે 15 ઓગસ્ટ 1947 એ કોઈ ધાર્મિક માળખું કે પૂજા સ્થળ જ્યાં જે રૂપમાં પણ હતું, તેની પર બીજા ધર્મના લોકો દાવો કરી શકશે નહીં.

આ કાયદાથી અયોધ્યાની બાબરી મસ્જિદને અલગ કરી દેવાઈ અને તેને અપવાદ રખાયો કારણ કે, આ વિવાદ આઝાદી પહેલાથી કોર્ટમાં વિચારાધીન હતો. આ કાયદામાં કહેવાયું હતું કે, 15 ઓગસ્ટ 1947એ જે ધાર્મિક સ્થળ જે સંપ્રદાયનું હતું, તે આજે અને ભવિષ્યમાં પણ તેનો જ રહેશે. જોકે અયોધ્યા વિવાદને આનાથી બહાર રાખવામાં આવે કેમ કે તેની પર કાયદાકીય વિવાદ પહેલાથી ચાલી રહ્યો હતો.

એક એવી અરજી પૂજારીઓના સંગઠને વકીલ વિષ્ણુ શંકર જૈન દ્વારા દાખલ કરી છે. આ જનહિત અરજીમાં પણ સુપ્રીમ કોર્ટમાંથી 1991ના પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટને રદ કરવાની માગ કરાઈ છે. જેથી મથુરામાં કૃષ્ણની જન્મસ્થળી અને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર-મસ્જિદના વિવાદનો ઉકેલ થઈ શકે. હિંદુ પૂજારીઓના સંગઠન વિશ્વ ભદ્ર પૂજારી પુરોહિત મહાસંઘે આ એક્ટની જોગવાઈને પડકાર આપ્યો છે.

આ અરજીમાં કહેવાયું છે કે આ કાયદાને ક્યારેય પડકારાયો નથી અને ના કોઈ કોર્ટે ન્યાયિક રીતે તેની પર વિચાર કર્યો છે. અયોધ્યા નિર્ણયમાં પણ બંધારણ બેન્ચે તેના પર માત્ર ટિપ્પણી કરી હતી. જો કે, મુસ્લિમ સંગઠન જમાયત ઉલમા-એ-હિંદએ આ અરજીનો જોરદાર વિરોધ કર્યો છે. તેણે સુપ્રીમ કોર્ટને કહ્યું કે આ અરજી ઈતિહાસની ભૂલોને સુધારવાનો છેતરામણો પ્રયાસ છે. તેમાં ચેતવણી અપાઈ કે જો સુપ્રીમ કોર્ટે આમાં રસ લીધો તો દેશમાં કેસ અને અરજીઓનું પૂર આવી જશે.

આ અરજીમાં વિવિધ અરજીઓનો જ વિરોધ કરાયો છે અને કહેવાયું છે કે, કોર્ટ આ અરજી પર નોટિસ જારી ના કરે. નોટિસ જારી કરવાથી, ખાસ કરીને અયોધ્યા વિવાદ બાદ મુસ્લિમ સમુદાયના લોકોના મનમાં પોતાના પૂજા સ્થળોના સંબંધમાં ભય પેદા થશે. આ કેસ રાષ્ટ્રના ધર્મનિરપેક્ષ તાણાવાણાને નષ્ટ કરશે. અરજીમાં આ મામલે તેઓને પણ પક્ષકાર બનાવવાની માગ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ પર 1,045 પાનાના ચુકાદામાં 1991ના આ કાયદાનો હવાલો આપતા કહ્યું હતું કે આ કાયદો 15 ઓગસ્ટ 1947એ જાહેર સ્થળોના પૂજા સ્થળોના રહેલા ધાર્મિક ચરિત્રને અકબંધ રાખવા અને તેમાં પરિવર્તન વિરુદ્ધ ગેરંટી આપે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કાયદો દરેક ધાર્મિક સમુદાયને એ આશ્વાસન આપે છે કે તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા થશે અને તે બદલાશે નહીં. પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ ધારાસભાની તરફથી કરાયેલી જોગવાઈ છે, જે પૂજા સ્થળોના ધાર્મિક ચરિત્રને અકબંધ રાખવાના આપણા ધર્મનિરપેક્ષ મૂલ્યોના અનિવાર્ય પાસાને બનાવે છે. આ એક સારો કાયદો છે.

timesofindia.indiatimes.com

Back to top button
error: Content is protected !!