Rajkot: રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

તા.૧૩/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
નિવાસી વડીલો સાથે ઉષ્માભર્યો સંવાદ સાધ્યો, વડીલોના આશીર્વાદ મેળવી ભોજન પ્રસાદ ગ્રહણ કરતાં મુખ્યમંત્રીશ્રી
Rajkot: રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોના શિલાન્યાસ – ખાતમુહૂર્ત – લોકાર્પણ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પથારીવશ માવતરોને આપવામાં આવતી સુવિધાઓ તથા અનન્ય સેવા બદલ મુખ્યમંત્રી શ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
આ તકે સંસ્થાના સંચાલક શ્રી વિજયભાઈ ડોબરીયા તથા ટ્રસ્ટીશ્રીઓએ પુષ્પગુચ્છ સાથે મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા હતા. સદભાવના વૃદ્ધાશ્રમ વતી સંસ્થાના સંરક્ષક અને માર્ગદર્શક પ.પૂ. ડો. પરમાત્માનંદ સરસ્વતીજીએ મુખ્યમંત્રીશ્રીને આર્શીવચન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આશ્રમની કામગીરી અને વ્યવસ્થા નિહાળી નિવાસી વૃદ્ધો સાથે મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. નિવાસી વડીલોએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ સદભાવના આશ્રમ ખાતે પારિવારિક વાતાવરણ અને હૂંફ સાથે તમામ સુવિધાઓ મળતી હોવાનો સંતોષ રાજીપા સાથે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ શ્રી વિજયભાઈ ડોબરીયા અને મિતલ ખેતાણી દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા કરવામાં આવતી કામગીરી તેમજ ભાવિ આયોજન અંગે મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીને મોમેન્ટો અને શાલ ભેટ કરી આવકાર્યા હતા. સંસ્થાના નિવાસી વડીલો પ્રત્યે સંવેદના દાખવતા મુખ્યમંત્રીશ્રી તેઓના રૂમમાં જઈ મળ્યા હતા ત્યારબાદ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, દાતાઓ અને કાર્યકર્તાઓ સાથે બપોરનું ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યું હતું.
આ મુલાકાત વેળાએ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય સર્વે શ્રી રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ અગ્રણીશ્રીઓ સર્વે શ્રી રાજુભાઈ ધ્રુવ, શ્રી મિત્તલભાઈ ખેતાણી, જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશી, ડેપ્યુટી કલેકટરશ્રી પ્રિયંક ગલચર સહિત સંબધિત વિભાગનાં અધિકારીશ્રીઓ સદભાવના વૃદ્ધાશ્રમના અન્ય ટ્રસ્ટીશ્રીઓ અને કર્મચારીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ ૬૫૦ જેટલા માવતરો નિવાસ કરી રહ્યા છે. જેમાં ૨૦૦ જેટલા વડીલો સાવ પથારીવશ છે. હાલ સંસ્થા દ્વારા ૩૦ એકર જગ્યામાં, ૫૦૦૦ નિ:સંતાન, નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું વિશ્વનું સૌથી મોટું ૧૪૦૦ રૂમયુક્ત નવું પરિસર રૂ.૩૦૦ કરોડનાં માતબર ખર્ચે રામપર, જામનગર રોડ, રાજકોટ ખાતે બની રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર ભારતમાં ૧૫૧ કરોડ વૃક્ષો વાવીને તેનો ૦૪ વર્ષ સુધી ઉછેર કરવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો છે તેમજ સંસ્થા દ્વારા બળદ આશ્રમ, શ્વાન આશ્રમ તેમજ રાહત દરે મેડીકલ સ્ટોર, નિ:શુલ્ક પશુ દવાખાનું, પાંજરાપોળ, પડતર કિંમતની નર્સરી પણ ચલાવવામાં આવે છે.






