
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ગિરિમથક સાપુતારા ખાતે બે પર્વતોની વચ્ચે રોપવેનાં ડબ્બા થંભી જતા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાતા પ્રવાસીઓનાં જીવ અધ્ધર થયા..
પ્રાપ્ત વિગતો અનુસાર અગાઉ રાજકોટનો અગ્નિકાંડ,વડોદરાની હરણી લેક દુર્ઘટના બાદ રાજય સરકાર દ્વારા પ્રવાસન સ્થળોએ નવી ગાઈડ લાઈન બહાર પાડી છે.ત્યારે ડાંગ જિલ્લા કલેક્ટર મહેશભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાનાં ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રવાસન સ્થળ એવા સાપુતારા ખાતે આપાતકાલીન સમયે લેવાના પગલા અંગે નોંધ લેવામાં આવી હતી.તેમજ જિલ્લામાં ઊભી થતી અન્ય ઇમર્જન્સીને પહોંચી વળવા તથા સ્થિતિ પર કેવી રીતે કાબુ મેળવવો તેની તકેદારીના ભાગરૂપે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા એનડીઆરએફની ટીમ દ્વારા સાપુતારાનાં પુષ્પક રોપવે રાઈડમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ગુજરાત રાજ્યના એકમાત્ર ગીરીમથક સાપુતારા ખાતે આવેલ પુષ્પક રોપવેમાં ડાંગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને એનડીઆરએફ ના સંયુક્ત ઉપક્રમે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં સાપુતારા ખાતે બે પર્વતો વચ્ચે રોપવે અટકી જાય તો રેસ્ક્યુ કામગીરી કઈ રીતે કરવી તે અંગે મોકડ્રીલ યોજાઇ હતી.ત્યારે નિર્ધારિત રૂપે સાપુતારા ખાતે બે પર્વતો વચ્ચે રોપવેનાં ડબ્બા અટકાવી દેવામાં આવ્યા હતા.જે બાદ ખોટકાયેલ કેબીનમાં ફસાયેલા પ્રવાસીઓને બચાવવા માટે ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગ તથા એનડીઆરએફની ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.આ મોકડ્રીલ દરમિયાન પ્રવાસીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તેમજ પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી જવા પામ્યો હતો.આ મોકડ્રીલ દરમિયાન ડાંગ જિલ્લા ડિઝાસ્ટર અધિકારી ચિંતન પટેલ તથા એનડીઆરએફ અધિકારી રાકેશ સિંગ તેમજ પુષ્પક રોપવેના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.અહી રોપવેનું મોકડ્રિલ સુપરે પાર પડતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.આ મોકડ્રિલ બાદ અગામી દિવસોમાં બંધ પડેલ રોપવે ફરી ચાલુ થશેનાં એંધાણ જણાતા પ્રવાસીઓમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી છે..





