હાલોલ:રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ હાલોલના તાજપુરા ખાતે શ્રી નારાયણ ભવનનું ખાતમુહૂર્ત કર્યુ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૫.૧૨.૨૦૨૪
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા મુકામે આવેલ શ્રી નારાયણ આઈ હોસ્પિટલ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કુલ ૧,૮૯,૦૦૦ જેટલા દર્દીઓની ઓપીડી તથા કુલ ૬૯,૭૮૪ જેટલા દર્દીઓના આંખના વિવિધ રોગોના ઓપરેશન કરવામાં આવ્યા છે. આ હોસ્પિટલના વિકાસ કામો અંતર્ગત ડોક્ટર્સના નિવાસ્થાન, સ્ટાફ ક્વાટર્સ તથા દર્દીઓની સુવિધામાં વધારો કરતા શ્રી નારાયણ ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે.શ્રી નારાયણ ભવનનું ખાતમુહૂર્ત રાજ્યના નાણાં, ઊર્જા તથા પેટ્રોલ કેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે તાજપુરા ખાતે કરવામાં આવ્યું હતું.આ દરમિયાન GETCO દ્વારા આપવામાં આવેલા રૂપિયા ત્રણ કરોડથી વધુના સાધનોનું મંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય શ્રી નારાયણ બાપુજીની પુણ્ય તપોભૂમિ તાજપુરા મુકામે શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ સંચાલિત શ્રી નારાયણ આઈ હોસ્પિટલ દ્વારા મોતિયો, રેટિના (પડદાના), જામર, વેલ, નેત્રમણી જેવા આંખોના તમામ રોગ માટે તદ્દન નિશુલ્ક નિદાન, સારવાર, ઓપેરશન તથા દર્દી અને દર્દીના એક સગા માટે રહેવા-જમવાની સુવિધા તેમજ ઓપરેશન પહેલા અને પછીના લેબોરેટરી ટેસ્ટ તેમજ દવાઓ નિ:શુલ્ક પુરી પાડતો માનવસેવા યજ્ઞ વર્ષ ૧૯૭૬ થી અખંડ પ્રજ્વલિત છે. આ તકે મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પ્રકૃતિના જતન અને સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ સી.કે. ટિંબડીયા, શ્રી નારાયણ હોસ્પિટલ ના પદાધિકારીઓ સહિત તાલુકાના પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.













