મોઝામ્બિકમાં ફાટેલી હિંસાનો હવે ભારતીયો ભોગ બન્યાં, લૂંટફાટ મચાવી; પરિવારોએ કહ્યું- ‘પ્લીઝ એમને બચાવો’
સમીર પટેલ, ભરૂચ
મોઝામ્બિક દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા શાસક ફ્રીલીમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને વિવાદાસ્પદ ચૂંટણીઓમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં ત્યાં વસતા ભારતીયોની દુકાનો અને મકાનોને પણ આગ લગાડી લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે. જેમાં અનેક ગુજરાતીઓ ઘર વિહોણા બન્યાં છે. જેથી અન્ય લોકોના ઘરે શરણાર્થી બનીને રહેવા મજબૂર બન્યાં છે. ત્યારે વતન ગુજરાતમાં રહેતા તેઓના પરિવારજનો ગુજરાત અને કેન્દ્રની સરકાર પાસે મદદ માંગી રહ્યાં છે.
ગુજરાતના અનેક લોકો પોતાના ધંધા અને રોજગારી માટે વિદેશના અલગ-અલગ દેશોમાં સ્થાયી થયા છે. તેઓ પરિવાર સાથે રહીને પોતાનું અને પરિવારજનોની પણ આર્થિક મદદ કરી રહ્યા છે. ત્યારે સાઉથ આફ્રિકાના મોઝામ્બિક દેશમાં પણ અનેક ભારતીયો પરિવાર સાથે સ્થાયી થયા છે. જેમાં ભરૂચના હજારો લોકો પણ ત્યાં વસવાટ કરી રહ્યા છે. જોકે, ત્યાં મોઝામ્બિકમાં કોઈ ચુકાદા બાદ હિંસા ફાટી નીકળી છે. ત્યાં રહેતા અને ધંધો કરતાં અનેક ગુજરાતીઓની દુકાનો અને મકાનો પર લૂંટ ચલાવાઈ રહી હોવાના અનેક બનાવો બની રહ્યા છે. આ ઘટનાઓ બાદ ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાના માહોલ જોવા મળી રહ્યો છે.
સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવા અમે ભરૂચ જિલ્લાના સીતપોણ ગામમાં રહેતા પરિવારની મુલાકાત લીધી હતી. જ્યાં જાણવા મળ્યું હતું કે, આ ગામના અંદાજીત 10 જેટલા પરિવાર ધંધા અર્થે ત્યાં મોઝામ્બિકમાં સ્થાયી થયા છે. અમારી ટીમે ગામમાં રહેતા મહેબૂબ માટલીવાલા પરિવારની મુલાકાત લીધી હતી. તેમના બે ભાઈઓ હાલમાં મોઝામ્બિક દેશમાં મનીષા અને મપુતોમાં રહીને વાસણની દુકાન ચલાવે છે.
મહેબુબ માટલીવાલા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમના બે ભાઈઓ પોતાના પરિવાર સાથે ત્યાં રહે છે પરતુ હાલમાં ત્યાં હિંસા ફાટી નીકળી છે. તેમના ભાઈઓની દુકાનો અને મકાનો પણ લૂંટી લેવામાં આવ્યાં છે. જેથી તેઓ પોતાના મકાનો છોડીને અન્ય લોકોના ઘરોમાં શરણાર્થીઓ બન્યા છે. અમારા પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. બે ત્રણ દિવસથી ઊંઘ પણ આવતી નથી, હમેશા ભાઈ અને ભાભી જે હાલમાં પ્રેગ્નેટ છે તેમની ચિંતા સતાવી રહી છે. આ અંગે તેઓ ગુજરાત અને ભારત સરકાર પાસે તેઓના ભાઈઓની અને અન્ય ભારતીયોને બચાવવા માટે મદદ માગી રહ્યા છે.