ગોલ્ડન બ્રિજને તાળા મરાયા:ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને બંને બાજુએ ગેટ લગાવી તાળા મરાયા, જાહેરનામુ હોવા છતાં લોકો ઉપયોગ કરતા હતા


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેર તથા જિલ્લાના લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બન્ને છેડે લોખંડના ગેટ બનાવડાવી બ્રિજને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની આવરદા પુરી થતાં ભરૂચ કલેકટર દ્વારા ગોલ્ડન બ્રિજને વાહનો તેમજ પબ્લિકની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં પણ સાંજના સમયે કેટલાક લોકો ગોલ્ડન બ્રિજની સહેલવા આવી તંત્રના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા હતા. ગોલ્ડન બ્રિજમાં ફરવા તેમજ મોબાઈલમાં સેલ્ફી ક્લિક કરવા આવતા લોકોને જોતા પોલીસ દ્વારા વારંવાર રોકવામાં આવતા હતા.તેમ છતાં પણ પોલીસની નજર ચુકવી ગોલ્ડન બ્રિજમાં કેટલાક લોકો બિનધિકૃત રીતે પ્રવેશ કરતાં હતા.
ત્યારે હવે આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેમજ લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે આખરે ગોલ્ડન બ્રિજને તાળા મારવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બન્ને છેડે લોખંડના ગેટ બનાવડાવી બ્રિજને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.



