
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
તા.૧૭/૦૨/૨૦૨૫
અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્રારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને ઓપરેશન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિદ્ધિ ફાર્મા અંકલેશ્વર, એસ.બી.મોદી પરિવાર, શ્રી નવકાર બ્લોપેક પાનોલી અને દશરથ પટેલ અંકલેશ્વર, દ્વારા ઉચિત સહાય આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ ,થવા સંચાલિત એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આ કેમ્પમાં વિવિધ તબીબી વિભાગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવી. જેમાં આંખ રોગ, હાડકાં રોગ, સ્ત્રીરોગ, બાળરોગ, જનરલ ફિઝિશિયન, જનરલ સર્જન, ન્યુરો સર્જન, પ્લાસ્ટિક સર્જન, બાળ દંતચિકિત્સા, કેન્સર, શ્વાસ સંબંધી રોગો, હૃદયરોગ અને અન્ય આરોગ્ય સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો.
હોસ્પિટલના તબીબો દ્વારા દર્દીઓનું નિદાન અને સારવાર આપવામાં આવી હતી. ગ્રામજનોને નિઃશુલ્ક દવાઓ અને જરૂરિયાત મુજબ ઓપેરશનની સગવડ આપવામાં આવેલ. શિબિર દરમિયાન ECG, લેબ ટેસ્ટ અને X-ray વગરેની સેવા નિઃશુલ્ક આપવામાં આવી.
આ કેમ્પમાં થવા, નેત્રંગ, ડેડિયાપાડા,ચાસવાડ તથા અન્ય આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ૧૮૦૦ થી વધુ લોકોએ કેમ્પ નો લાભ લીધો અને તેમની આરોગ્ય સમસ્યાઓ માટે નિષ્ણાત તબીબો દ્વારા યોગ્ય નિદાન અને સારવાર મેળવી.
આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશભાઈ ઉદાણી, કિરણભાઈ મોદી, જનરલ મેનેજર ડૉ.નિનાદ ઝાલા, ડો.આત્મી ડેલીવાલા, જયાબેન મોદી હોસ્પિટલ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ, થવાના પ્રમુખ યોગેશભાઈ જોશી, મંત્રીશ્રી માનસિંહ માંગરોલા, આચાર્ય પ્રવિણભાઈ પટેલ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદે પણ મેગા મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો અને સમાજ માટે કામ કરતી જયાબેન મોદી હોસ્પિટલની ખૂબ પ્રશંસા કરી હતી. વિશાળ દર્દીઓની મુલાકાત સાથે આ નિશુલ્ક કેમ્પ ખૂ
બ સફળ રહ્યો.




