DEDIAPADAGUJARATNARMADA

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા દ્વારા વિવિધ ગામોમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા દ્વારા વિવિધ ગામોમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ

તાહિર મેમણ – ડેડીયાપાડા – 18/04/2025 – પોષણ અભિયાન અંતર્ગત પ્રતિ વર્ષ એપ્રિલ મહિનામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે તા. 8થી 22 એપ્રિલ – 2025 દરમિયાન નર્મદા જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા પોષણ પખવાડિયાને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

પોષણ પખવાડાની ઉજવણીના ભાગ રૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા દ્વારા ડેડીયાપાડા તાલુકાના ગામડાઓમાં જઈને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. એચ.યુ.વ્યાસ દ્વારા ખેડૂતોને બાયોફર્ટિફાઇડ બિયારણની જાતો અને કિચનગાર્ડન વિશે માહિતી પુરી પાડી તેના તરફ વળવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાથે પોષણયુક્ત આહાર માટેની ગામલોકો સાથે પ્રતિજ્ઞા પણ લેવામાં આવે છે.

કૃષિ કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. મીનાક્ષી તિવારીએ જુદા-જુદા વિષયો જેવા કે બાયોફોર્ટિફાઇડ પાકોનું વાવેતર અને પોષણ મૂલ્ય, સરગવાનું મૂલ્યવર્ધન અને પોષણ અંગેની જાણકારી સાથે સ્થાનિક રીતે ઘરની આસપાસ ઉપલબ્ધ પોષક ખોરાકને પ્રધાન્ય આપવા અંગે સમજ પૂરી પાડી હતી. ખેડૂતોને પોષણયુકત ખોરાકના વિષય અનુરૂપ પ્રચાર સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં વેડછા, બેસણા અને અલમાવાડીના ખેડૂત ભાઈ-બહનોએ મોટી સંખ્યામાં ભાગ લઈને જમીનની ફળદ્રૂપતા વધારવાના અભિયાનમાં સહભાગી થવા પ્રતિજ્ઞા લીધી હતી.

Back to top button
error: Content is protected !!