AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે વઘઇનાં ગીરાધોધ ખાતે પ્રવાસીઓની ભીડ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકામાં આવેલ ગીરાધોધ હાલ વરસાદી માહોલને કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.ચોમાસાની શરૂઆત થતા જ આ ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે, જેના મનમોહક દ્રશ્યો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.વઘઇનો ગીરાધોધ ડાંગ જિલ્લાનાં પ્રમુખ પ્રવાસન સ્થળો પૈકીનો એક છે. સામાન્ય રીતે ઉનાળામાં આ ધોધમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ ચોમાસા દરમિયાન ઉપરવાસમાં થતા ભારે વરસાદને કારણે ધોધ સંપૂર્ણ વેગથી વહેવા લાગે છે.નદીનાં પથ્થરોની ભેખડોની ઊંચાઈ પરથી નીચે ખાબકતા પાણીના અદભૂત દ્રશ્યો અને તેની આસપાસની લીલોતરી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.હાલ રજાઓ અને સપ્તાહનાં દિવસોમાં અહીં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ગુજરાતભરમાંથી, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને આસપાસના મહારાષ્ટ્રનાં વિસ્તારોમાંથી લોકો પરિવાર અને મિત્રો સાથે ગીરાધોધની મુલાકાત લેવા આવી રહ્યા છે. ધોધના શાંત અને રમણીય વાતાવરણમાં લોકો સેલ્ફી લેતા, પ્રકૃતિનો આનંદ માણતા અને સ્વાદિષ્ટ સ્થાનિક ભોજનનો સ્વાદ માણતા જોવા મળે છે.વઘઇ વન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધાઓનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જોકે, ધોધમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી પ્રવાસીઓને સાવચેત રહેવા અને જોખમી સ્થળોએ ન જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે. એકંદરે, ગીરાધોધ વઘઇ ખાતેનો પ્રાકૃતિક માહોલ પ્રવાસીઓ માટે યાદગાર અનુભવ પૂરો પાડી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!